Una Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ અત્યારે બરાબરનો જામ્યો છે, ત્યારે ગીર સોમનાથના ઉનામાં રાજકીય માહોલ સંગીતમય બન્યો છે. ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર તરીકે લોકગાયિકા રાજલ બારોટ મેદાનમાં છે, ત્યારે તેમના સમર્થનમાં ગુજરાતના સુપરસ્ટાર ગાયક જીગ્નેશ બારોટ (કવિરાજ) એ એન્ટ્રી કરી છે. જીગ્નેશ કવિરાજે પોતાના આગવા અંદાજમાં લોકગીતોની રમઝટ બોલાવીને રાજલ બારોટ અને ભાજપની પેનલને જંગી બહુમતીથી જીતાડવા માટે મતદારોને અપીલ કરી છે.
વાત જાણે એમ છે કે, અગાઉ અમદાવાદમાં ભાજપના પ્રચાર માટે લોકગાયિકા કાજલ મહેરિયા મેદાનમાં ઉતર્યા હતા, અને હવે ઉનામાં જીગ્નેશ કવિરાજની હાજરીએ ચૂંટણી પ્રચારને લોકમેળા જેવો રંગ આપ્યો છે. રાજલ બારોટ અને જીગ્નેશ કવિરાજ બંનેની લોકપ્રિયતાને કારણે પ્રચાર કાર્યક્રમમાં યુવાનો અને મહિલાઓની ભીડ ઉમટી પડી હતી. કલાકારોની આ જોડીએ રાજકીય પ્રચારને સાંસ્કૃતિક ઓપ આપીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે, જેનાથી ઉનાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગુરુપુત્રી માટે કવિરાજ મેદાનમાં: મોદી-શાહનો માન્યો આભાર
પ્રચાર કાર્યક્રમ દરમિયાન જીગ્નેશ કવિરાજ ભાવુક જોવા મળ્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારા ગુરુ સ્વ. મણિરાજ બારોટના દીકરી રાજલ બારોટને ઉનાની સેવાની તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માનું છું." તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજલ માત્ર એક કલાકાર નથી પણ સેવાભાવી વ્યક્તિત્વ છે, અને વોર્ડ નંબર 7 ના તમામ મતદારોએ કમળના નિશાન પર બટન દબાવી ભાજપની આખી પેનલને વિજયી બનાવવી જોઈએ.
આ પણ વાંચો: કચ્છ અને પોરબંદર બનશે શિપબિલ્ડિંગ હબ : રાજ્ય સરકારની નવી બ્લુ ઈકોનોમી પોલિસી જાહેર
વોર્ડ નંબર 7 બન્યો હોટ ફેવરિટ: ઉનામાં ભાજપનું પલડું ભારે?
ઉના નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ગણિત રસપ્રદ બન્યું છે. પાલિકાની કુલ 36 બેઠકોમાંથી 13 બેઠકો પર ભાજપના ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જે ભાજપ માટે મોટો મનોવૈજ્ઞાનિક વિજય માનવામાં આવે છે. હવે બાકીની 23 બેઠકો માટે જંગ જામ્યો છે, જેમાં વોર્ડ નંબર 7 સૌથી વધુ ચર્ચામાં છે. રાજલ બારોટ જેવી સેલિબ્રિટી ઉમેદવાર હોવાથી આ બેઠક પર સૌની મીટ મંડાયેલી છે.
સંગીત અને સંદેશનો અનોખો સંગમ
સામાન્ય રીતે રાજકીય ભાષણો કંટાળાજનક હોય છે, પરંતુ જીગ્નેશ બારોટે પોતાના પ્રખ્યાત ગીતો અને લલકાર સાથે પ્રચાર કરતા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે વિકાસના મુદ્દાઓને ગીત દ્વારા વણી લઈને લોકોને મજબૂત નેતૃત્વ પસંદ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં પણ નવી ઉર્જાનો સંચાર થયો છે.
શું કલાકારોની લોકપ્રિયતા વોટમાં બદલાશે?
હવે જોવાનું એ રહેશે કે જીગ્નેશ કવિરાજની આ અપીલ અને રાજલ બારોટની લોકપ્રિયતા મતદાનના દિવસે કેટલો પ્રભાવ પાડે છે. વિરોધ પક્ષો પણ પોતાની રીતે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ હાલના તબક્કે તો ઉનામાં 'કેસરીયો માહોલ' અને કલાકારોનો જાદુ માથે ચઢીને બોલી રહ્યો છે.






