Umreth by Election: આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ રાજ્યની રાજકીય પરિસ્થિતિમાં ફરી એકવાર ચર્ચા જગાવી છે. આ ચૂંટણીમાં ભાજપએ પોતાનું પ્રભુત્વ જાળવી રાખતા નોંધપાત્ર વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ ગોવિંદભાઈ પરમારે 30,000 થી વધુ મતોના વિશાળ અંતરથી જીત મેળવી છે, જે સ્થાનિક સ્તરે પાર્ટીની મજબૂત પકડ દર્શાવે છે.
આ બેઠક પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના અચાનક અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે સહાનુભૂતિના પરિબળ સાથે પરિવારની રાજકીય પરંપરાને આગળ વધારતા તેમના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવારી આપી હતી. મતદાતાઓએ આ નિર્ણયને સમર્થન આપતાં ભાજપને ફરી જીત અપાવી છે.
કોંગ્રેસની હાર અને EVM અંગે આક્ષેપ
ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતરેલા ભૃગુરાજસિંહ ચૌહાણે પરાજય સ્વીકાર્યો છે, પરંતુ સાથે સાથે EVM અંગે સવાલો પણ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પરિણામોમાં ગડબડની શક્યતા નકારી શકાતી નથી અને આ મુદ્દે વધુ તપાસ થવી જોઈએ.
ચૂંટણી દરમિયાન પણ રાજકીય તણાવ જોવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપના સ્વરૂપમાં સામે આવી રહ્યો છે. જોકે, ચૂંટણી પંચ તરફથી હજુ સુધી કોઈ અનિયમિતતા અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, જેના કારણે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
જીત્યા બાદ શું બોલ્યા હર્ષદ પરમાર
જીત્યા બાદ શું બોલ્યા હર્ષદ પરમારે મીડિયા સાથે વાત કરતાં આભાર માન્યો અને બોલ્યા, “જેમ મેં પહેલા પણ સવારમાં કહ્યું હતું કે, તમે ૧૨ વાગ્યાની આસપાસ જોઈ લેજો ભારતીય જનતા પાર્ટીની જીત થશે અને મારા દરેક મતદાતા ભાઈઓ અને બહેનો અને દરેક આગેવાનો અને અમારી પાર્ટીના સંગઠનના દરેક આગેવાન નેતાઓ અને આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજયભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ અને અમારા આણંદના ચૂંટણી ઇન્ચાર્જ પ્રદિપસિંહજી જાડેજા બાપુ, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને આણંદ જિલ્લાના તમામ ધારાસભ્યો અને મહામંત્રીઓ તેમજ દરેક તાલુકાના સંગઠન તે દરેકનો હું આભાર વ્યક્ત કરું છું અને મતદારોનો પણ, જેમણે સાથે મળીને મને ભવ્ય વિજય અપાવ્યો છે તે માટે હું તે સૌનો આભાર વ્યક્ત કરું છું.”
મતદાન અને ચૂંટણીની વિગતો
23 એપ્રિલે યોજાયેલી આ પેટાચૂંટણીમાં અંદાજે 59.04 ટકા મતદાન નોંધાયું હતું, જે મધ્યમ સ્તરનું માનવામાં આવે છે. કુલ 2.45 લાખ જેટલા નોંધાયેલા મતદારો માટે 306 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહ્યો હતો.
ચૂંટણીના પરિણામો રાજ્યભરમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે મહત્વ ધરાવતા હતા, કારણ કે આ પરિણામોને આગામી રાજકીય દિશા માટે સૂચક તરીકે પણ જોવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદ સાયબર ક્રાઇમનો ભાંડાફોડ : ‘જ્યોતિષ ગુરૂમા’ ના નામે બ્લેકમેઇલિંગ ગેંગ ઝડપાઇ
સહાનુભૂતિ ફેક્ટર અને સ્થાનિક સમીકરણ
ભાજપના વિજય પાછળ સહાનુભૂતિનો પરિબળ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ સ્થાનિક મતદાતાઓમાં તેમની પ્રત્યે લાગણી જોવા મળી હતી, જે તેમના પુત્રના પક્ષમાં મતદાન રૂપે પ્રગટ થઈ હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.
સાથે સાથે, સ્થાનિક સ્તરે ભાજપની સંગઠન શક્તિ અને ચૂંટણી વ્યવસ્થાપન પણ જીતના મુખ્ય કારણો તરીકે જોવામાં આવે છે. વિરોધ પક્ષ માટે આ પરિણામ આત્મમંથનનો વિષય બની શકે છે.






