Home Gujarat Umargam Pali Karambeli Three Children Death Case

વલસાડમાં એક માતાએ જ પોતાના 3 માસુમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા : ત્યાર બાદ જે કર્યું એનાથી આખા પંથકમાં વ્યાપી ગયો ફફડાટ

વલસાડ કરુણાંતિકાના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 27, 2026, 06:42 AM IST

ગુજરાતના સરહદી વિસ્તાર એવા ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાંથી હૃદય કંપાવી નાખે તેવી કરુણ ઘટના સામે આવી છે. ગૃહકલેશના માહોલ વચ્ચે એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં માત્ર 9 મહિનાના બે જોડિયા શિશુઓ અને ત્રણ વર્ષની બાળકીનો સમાવેશ થતાં ઘટનાએ લોકોની લાગણીઓને ઝંઝોળી નાખી છે.

પ્રાથમિક માહિતી મુજબ, પાલી કરમબેલી ગામમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ કથિત રીતે પોતાના ત્રણેય બાળકોને ઝેરી પદાર્થ આપ્યા બાદ પોતે પણ ઝેરી દવા પી લીધી હોવાની ચર્ચા છે. જોકે, પોલીસે હજુ સુધી આ મામલે સત્તાવાર રીતે કોઈ અંતિમ કારણ જાહેર કર્યું નથી અને સમગ્ર કેસની વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ ભીલાડ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ગામમાં દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

9 મહિનાના જોડિયા ભાઈઓ સહિત ત્રણ બાળકોના મોત

મૃતક બાળકોમાં 9 મહિનાના જોડિયા દીકરાઓ આર્યન અને વિહાન તેમજ ત્રણ વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. ગામમાં એક સાથે ત્રણ બાળકોના મોતના સમાચાર ફેલાતા જ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પરિવાર છેલ્લા કેટલાક સમયથી આંતરિક કલહમાંથી પસાર થઈ રહ્યો હતો. ઘટના બાદ પરિવારજનો અને ગ્રામજનો પણ ભારે આઘાતમાં છે. ત્રણેય બાળકોના કરુણ મોતે સમગ્ર ગામને હચમચાવી દીધું છે.

પ્રાથમિક ચર્ચા મુજબ માતા નિશાબેન સંજયભાઈ હળપતિએ પોતાના સંતાનોને કોઈ ઝેરી પદાર્થ પીવડાવ્યો હતો અને બાદમાં પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ તેમની તબિયત ગંભીર હોવાનું જાણવા મળે છે અને તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહિલાની હાલતને ધ્યાનમાં રાખીને હાલમાં તેમની વિગતવાર પૂછપરછ થઈ શકી નથી.

આ પણ વાંચો: દાહોદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો : હથિયારધારી 6 શખ્સે કરેલી ₹1.40 કરોડની લૂંટ CCTVમાં કેદ

વહાણવટી પતિ સાથે ઝઘડાની ચર્ચા

પરિવારજનો અને સ્થાનિક સૂત્રો અનુસાર મૃતક બાળકોના પિતા સંજયભાઈ વસંતભાઈ હળપતિ વહાણમાં નોકરી કરે છે અને થોડા દિવસ પહેલાં જ દરિયાઈ સફર પૂર્ણ કરીને ઘરે પરત આવ્યા હતા.

ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ વિવાદ બાદ રાત્રિના સમયે સમગ્ર ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. સગા-સંબંધીઓનું કહેવું છે કે ગૃહકલેશ અને માનસિક આઘાતના કારણે મહિલાએ આ કઠોર પગલું ભર્યું હોઈ શકે છે.

મૃતક બાળકોની ફોઈએ પણ મીડિયા સમક્ષ આશંકા વ્યક્ત કરી છે કે પરિવારમાં ચાલી રહેલા કલહને કારણે બાળકોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોઈ શકે છે. જોકે, પોલીસ સત્તાવાર રીતે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી.

આ ઘટનાએ ફરી એકવાર પરિવારમાં વધી રહેલા માનસિક તણાવ અને ગૃહકલેશના ગંભીર સામાજિક પ્રશ્નોને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ : કાલુપુર ફ્લાયઓવર ઉપર વાયાડક્ટ લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ

પોલીસ તમામ પાસાઓની તપાસમાં વ્યસ્ત

ભીલાડ પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ઘરેથી મળેલા સંભવિત ઝેરી પદાર્થો, વાસણો અને અન્ય વસ્તુઓને તપાસ માટે કબજે લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત પોલીસ દ્વારા પરિવારજનો, પડોશીઓ અને ગ્રામજનોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. પોલીસ હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે બાળકોના મોત ઝેરી પદાર્થના કારણે થયા કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ત્રણેય બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમની મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વડોદરામાં યુવકના કપડાં કાઢી 6 હેવાનોએ પાર કરી હેવાનિયતની હદ : ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો, પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર

પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે મોતનું સાચું કારણ

તપાસ એજન્સીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને FSLના અભિપ્રાય બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલમાં પોલીસે અકસ્માતે મોત સહિતની વિવિધ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ રાખી છે.

આ ઘટના બાદ સમગ્ર ઉમરગામ પંથકમાં ગમગીનીનો માહોલ છે. એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના મોતે લોકોને ભાવુક બનાવી દીધા છે. ગામમાં લોકો વચ્ચે પણ ચર્ચા ચાલી રહી છે કે સમયસર માનસિક સહાય અને પરિવારજનોનું સમાધાન થયું હોત તો કદાચ આ દુર્ઘટના અટકાવી શકાત.

સામાજિક કાર્યકરોનું માનવું છે કે પરિવારમાં વધતા તણાવ, આર્થિક દબાણ અને માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નોને ગંભીરતાથી લેવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now