Udhampur accident: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના રામનગર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અનેક યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના રામનગરથી ઉધમપુર જતી એક જાહેર પરિવહન બસમાં બની હતી. અહેવાલો અનુસાર, બસ કનોટ ગામ અથવા કાઘોટ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની અને તે પલટી ગઈ હતી. અકસ્માતના સમયે બસમાં મુસાફરો ભરેલા હતા.
તાત્કાલિક રાહત કાર્ય
વહીવટી અધિકારીઓ અને બચાવ ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ અને રાહત કામગીરી ઝડપથી ચાલી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલોને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ : 16થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ, કેટલાક લોકો થયા ઈજાગ્રસ્ત
કેન્દ્રીય મંત્રીની પ્રતિક્રિયા
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહએ આ દુઃખદ ઘટના અંગે તુરંત પ્રતિક્રિયા આપી. તેમણે ઉધમપુરના ડીસી મિંગા શેરપા સાથે વાત કરી અને રાહત તેમજ બચાવ કામગીરીને વેગ આપવા નિર્દેશ આપ્યા.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું:
“ઉધમપુરના ડીસી મિંગા શેરપા સાથે હમણાં જ વાત કરી. એક કલાક કરતાં પણ ઓછા સમય પહેલાં કનોટ ગામમાં દુઃખદ માર્ગ અકસ્માત થયો છે. રામનગરથી ઉધમપુર જતી જાહેર પરિવહન બસ અકસ્માતમાં સંડોવાયેલી છે. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. અનેક જાનહાનિની આશંકા છે. શક્ય તેટલી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.”
ડૉ. જીતેન્દ્ર સિંહે સ્થાનિક વહીવટીતંત્ર અને સ્થાનિક કાર્યકરો સાથે સતત સંપર્કમાં રહીને ઘાયલોને તમામ શક્ય મદદ પહોંચાડવાની વાત કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ લોકો પ્રત્યે અંતિમ શ્રદ્ધાંજલિ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના. હજુ સુધી સત્તાવાર આંકડા અને વિગતોની પુષ્ટિ બાકી છે.
આ અકસ્માતની ઘટનાનું દુઃખ વ્યકત કરતાં PM નરેન્દ્ર મોદીએ પણ પોસ્ટ કરીને સહાયની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું:
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં બસ અકસ્માતમાં થયેલા જીવ ગુમાવવાના સમાચાર સાંભળીને દુઃખ થયું. જે લોકોએ પોતાના નજીકના અને પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું. આ દુ:ખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.





