દેશના નેશનલ હાઈવે પર વહીવટી બેદરકારી અને અતિક્રમણને કારણે વારંવાર સર્જાતા અકસ્માતો રોકવા માટે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચાંદુરકરની બેંચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે બંધારણની કલમ 21 હેઠળ 'સુરક્ષિત મુસાફરીનો અધિકાર' એ દરેક નાગરિકના જીવન જીવવાના અધિકારનો જ એક અભિન્ન ભાગ છે.
હાઈવે પર થતા ગેરકાયદે પાર્કિંગ અને દબાણોને કારણે રસ્તાઓ 'મૃત્યુના કોરિડોર' બની રહ્યા હોવાની ગંભીરતાને ધ્યાને રાખીને સર્વોચ્ચ અદાલતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા વ્યાપક વચગાળાના નિર્દેશો જાહેર કર્યા છે.
ભારે વાહનોના પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ
જસ્ટિસ માહેશ્વરીની અધ્યક્ષતાવાળી બેંચે આદેશ આપ્યો છે કે નેશનલ હાઈવેના મુખ્ય માર્ગ અને તેની કિનારીઓ પર ભારે અને કોમર્શિયલ વાહનોના પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ સ્થળો અથવા રોડ સાઈડ એમેનિટીઝ પર જ ઉભા રાખી શકાશે.
આ ઉપરાંત હાઈવેની હદમાં ગેરકાયદેસર રીતે બનેલા ઢાબા અને વ્યાપારિક સંકુલને 60 દિવસની અંદર દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈપણ સુરક્ષા ઝોનમાં હવે પૂર્વ મંજૂરી વિના નવું લાયસન્સ આપવામાં આવશે નહીં કે જૂના લાયસન્સનું નવીનીકરણ પણ કરવામાં આવશે નહીં.
ઈમરજન્સી સેવાઓ અને જિલ્લા ટાસ્ક ફોર્સ
જવાબદારી નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટે દેશભરમાં 'જિલ્લા હાઈવે સુરક્ષા કાર્ય દળ' (District Highway Safety Task Force) ની રચના કરવા સૂચના આપી છે. આ દળ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનર અથવા પોલીસ અધિક્ષક સંયુક્ત રીતે જવાબદાર રહેશે.
સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે કોર્ટે નીચે મુજબની જોગવાઈઓ ફરજિયાત કરી છે:
એમ્બ્યુલન્સ અને ક્રેન: હાઈવે પર દર 75 કિલોમીટરના અંતરે લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ અને રિકવરી ક્રેન તૈનાત કરવી પડશે.
ટ્રાફિક મેનેજમેન્ટ: આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ અને ઈ-ચલાણની વ્યવસ્થા લાગુ કરવી પડશે.
જિલ્લા સુરક્ષા દળ: જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ હાઈવેની સુરક્ષા માટે સીધું નિરીક્ષણ કરવાનું રહેશે.





