બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામે એક જ પરિવારની બે સગી બહેનો તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ દુઃખદ ઘટનામાં 7 વર્ષીય રિદ્ધિબેન પોપટભાઈ સોરીયા અને 5 વર્ષીય ગોપીબેન પોપટભાઈ સોરીયાનું મોત નિપજ્યું છે.
બે સગી બહેનો તળાવમાં ડૂબી જવાથી મોત
પ્રાપ્ત માહિતી મુજબ, બંને બાળકીયો મૂળ બાબરા તાલુકાના ખંભાળા ગામના રહેવાસી માલધારી પરિવારની હતી અને પશુઓ ચરાવવા માટે પરિવાર સાથે જલાલપુર ગામે આવી હતી. ઘટના સમયે બંને બહેનો રમતી હતી. રમતા રમતા નજીક આવેલા તળાવના પાણીના ખાડામાં પડી જતા બંને બાળકીયો ડૂબી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઢસા 108 ટીમ દ્વારા બંને બાળકીયોને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઢસા ખાતે ખસેડવામાં આવ્યા હતા. એક જ પરિવારની બે નાની બાળકીઓનું આ રીતે મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.




















