વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત' ના વિઝનને સાકાર કરવા અને શહેરી પરિવહનને આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર આ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે સુરત મેટ્રોએ આજે એક મહત્વનો સીમાચિહ્ન પાર કર્યો છે.
‘વિકસિત ભારત’ વિઝન તરફ મોટું પગલું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સુરત મેટ્રો પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર પરિવહન સુવિધા નહીં, પરંતુ શહેરના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ આધાર બનશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જણાવ્યાનુસાર ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિમી લાંબા વાયડક્ટનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ધારિત રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન આશરે 500 કલાક જેટલું ટ્રેન રનિંગ કરવામાં આવશે. ટ્રાયલ રૂટ પર રેલવે ટ્રેક બિછાવવાની કામગીરી તેમજ ટ્રેક્શન પાવર માટેની 'થર્ડ રેલ' (Third Rail) નું કામ પણ સંપન્ન થયું છે. આ રૂટ પર આવતા કુલ 7 સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ અને ફિનિશિંગ ની કામગીરી ઝડપભેર ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેટ્રોની સુરક્ષા અને કાર્યક્ષમતાની ખાતરી કરવા માટે RDSO (Research Designs and Standards Organisation) અને CMRS (Commissioner of Metro Railway Safety) દ્વારા ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. આ વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને ટેકનિકલ તપાસ બાદ મેટ્રો સેવાઓ સામાન્ય જનતા માટે ખુલ્લી મુકવા તરફ આગળ વધશે. સુરત મેટ્રોની આ પ્રગતિથી શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે અને સુરતીલાલાઓને ઝડપી, સુરક્ષિત અને પ્રદૂષણમુક્ત પરિવહનની સુવિધા પ્રાપ્ત થશે.
સુરત શહેરને મળશે અનેક ફાયદા
સુરત મેટ્રો શરૂ થતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. સાથે જ વાહનોની સંખ્યા ઘટવાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. સાથે જ મેટ્રો દ્વારા મુસાફરી ઝડપી અને સસ્તી બનશે, જે રોજિંદા મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે.





