શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન થશે. જેને લઈ અંબાજી ખાતે ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં પદયાત્રી સંઘના સંચાલકો જોડાયા હતા.

ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં ટ્રસ્ટ્રની બેઠક
શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના સ્થાન એવા અંબાજી ખાતે 51 શક્તિપીઠ નિર્માણ પામ્યું છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે સરકાર દ્વારા અંબાજી ખાતે અલગ અલગ ફેઝમાં 1600 કરોડના વિકાસ કાર્યો કરાશે જેનાથી અંબાજીની કાયાપલટ થશે. દરવર્ષે ભાદરવી પૂનમ મહામેળામાં 40 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે આવતા હોય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરવર્ષે અહીં વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાય છે જેનાથી શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે છે. આ વર્ષે પણ શ્રેષ્ઠ આયોજન કરાયું છે.
કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, આ વર્ષે ભાદરવી પૂનમ મહા મેળાનું સુચારુ આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાશે. સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે. કચરો ડસ્ટબીનમાં જ નાખવામાં આવે તે જરૂરી છે. ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં 1624 જેટલા પદયાત્રીઓના સંઘ રજીસ્ટ્રેશન થયેલા છે ત્યારે ચાલીને આવતા માઇભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે.






