ગાંધીનગરના સેક્ટર 15 સ્થિત બી.આર. આંબેડકર કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો છે. ભોજનની ગુણવત્તા અને પીવાના પાણીની સમસ્યાને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
વિરોધ કરવાનું શું છે કારણ?
મળતી માહિતી મુજબ, છાત્રાલયમાં છેલ્લા ઘણા સમયથી જમવાની અંગે વિદ્યાર્થીઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા. અનેક વખત સંચાલકોને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો. ભોજનની ગુણવત્તા નબળી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.
આ વિરોધ દરમિયાન ABVP ના કાર્યકરો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ છાત્રાલયના ગેટ તોડી સંચાલકો સાથે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાએ પરિસ્થિતિને વધુ તંગ બનાવી દીધી હતી.
વિદ્યાર્થીઓએ માત્ર ભોજન જ નહીં પરંતુ પીવાના પાણીની સમસ્યા પણ ઉઠાવી હતી. તેમના જણાવ્યા મુજબ, છાત્રાલયમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી કરે છે.
આ પણ વાંચો: ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવર્ણ તક! : ગુજરાત RTE 2026-27ની અરજી પ્રક્રિયા શરૂ, જાણો સંપૂર્ણ વિગતો
આ મુદ્દે રાજ્યના મંત્રી પ્રદ્યુમન વાજાને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે, છતાં હજુ સુધી કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી.
વિદ્યાર્થીઓએ તંત્ર પાસે તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.






