Banaskantha Tribal Community : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર - છાપી નજીક વિસ્તારમાં મંજૂરી વગર યોજાયેલી આદિવાસી પદયાત્રાને પોલીસે અટકાવી હતી. આ પદયાત્રા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર એમ કુલ ચાર જિલ્લાઓમાંથી પસાર થવાની હતી અને અંતે ગાંધીનગર પહોંચવાની યોજના હતી. આ યાત્રાનું નેતૃત્વ ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા કરવામાં આવી રહ્યું હતું, પરંતુ પદયાત્રા માટે કોઈપણ પ્રકારની સત્તાવાર મંજૂરી લેવામાં આવી ન હતી.
MLA કાંતિ ખરાડી સહિત અંદાજે 50થી વધુ લોકોની અટકાયત
પોલીસને પદયાત્રાની માહિતી મળતા કાણોદર વિસ્તારમાં યાત્રાને રોકવામાં આવી હતી. યાત્રા અટકાવવાના સમયે ધારાસભ્ય કાંતિ ખરાડી અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુસર પોલીસે કાર્યવાહી કરી અને ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત અંદાજે 50થી વધુ લોકોની અટકાયત કરી હતી. આ સાથે ગુલાબ સિંહ રાજપુતને પણ પોલીસ દ્વારા હિરાસતમાં લેવામાં આવ્યા હતા.
રાજકીય ચર્ચા અને ચર્ચાસ્પદ માહોલ
અટકાયત કરાયેલા તમામ લોકોને પાલનપુર તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, પદયાત્રાની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં સંભવિત કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ હોવાથી આ પગલું ભરવું પડ્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચા અને ચર્ચાસ્પદ માહોલ સર્જાયો છે.





















