સુરેન્દ્રનગર મહાનગરપાલીકા બન્યા બાદ મુળચંદ ગામને મનપામાં આવરી લીધુ હતું. પરંતુ છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નળમાં નહિ આવતા હાલ મહિલાઓ તળાવનું ગંદુ પાણી પીવા મજબુર બની છે. ગંદુ પાણી પીવાને કારણે ઘરે ઘરે લોકો બીમાર પડ્યા છે. અગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા નહિ ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મુળચંદ ગામ મહા નગરપાલીકામાં સમાવેશ થતા લોકોને આશા હતી કે, હવે મહાનગરપાલીકા દ્રારા સારી સુવિધાઓ મળશે, પરંતુ મુળચંદ ગામ અને આજુબાજુની અંદાજે 25 સોસાયટીઓના અંદાજે 10 હજાર લોકોની આશા પર પાણી ફરીવળ્યું છે.મુળચંદ ગામ અને આજુબાજુની સોસાયટીઓના લોકો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નળમાં નહિ આવતા મહિલાઓ બેડા માથે ઉપાડી તળાવનું ગંદુ પાણી પીવા મજબુર બની છે.
મુળચંદ ગામ અને આજુબાજુની સોસાયટીઓમાં ગ્રામ પંચાયત હતી, ત્યારે WASMO દ્રારા નલ સે જલ યોજના અંતર્ગત પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતુ હતુ. પરંતુ મહાનગરપાલીકામાં મુળચંદ ગામનો સમાવેશ થતા ગ્રામ્ય યોજના થકી જલ સે નલ યોજના અંતર્ગત આપવામાં આવતુ પીવાના પાણીની લાઇન WASMOએ કાપી નાખી હતી. છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી ન મળતા ગામલોકોને હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે.
મહાનગરપાલીકાએ ગટરનું પાણી તળાવમાં ઠાલવતા ગામનું તળાવ હાલ ગંદા પાણીથી ગંધાઇ રહ્યુ છે. પરંતુ પીવાના પાણીનો ગામલોકોએ કોઇ સ્ત્રોત નહિ હોવાથી તળાવનું ગંદુ પાણી પીવા મજબુર બન્યા છે. ગંદા પાણીના લીધે ચામડીના રોગોની સમસ્યાઓ થાય છે જેથી ગામલોકોએ તાત્કાલિક પીવાનું શુદ્ધ પાણી લોકોને નળ દ્રારા ઘર ઘર સુધી મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.






