અમદાવાદ શહેરની સંસ્કૃતિ અને ઇતિહાસની ઓળખ સમાન એવા દરવાજાઓમાંનો એક, દિલ્હી દરવાજા પાસે આવેલો જૂનો દરવાજો બુધવારે રાત્રે અચાનક ધરાશાયી થતા ચકચાર મચી ગઈ હતી. જોકે આ દરમિયાન કોઈ જાનહાની નથી થઈ.
પોલીસ દળની તાત્કાલિક કાર્યવાહી
દરવાજો ધરાશાયી થતાની સાથે નજીકમાં રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે સ્થાનિક પોલીસ દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું અને વિસ્તારને કોર્ડન કરી લોકોની અવરજવર અટકાવતાં દરવાજાના અવશેષો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી.
જર્જરિત હાલતની ઘણી વખત અપાઈ હતી ચેતવણી
પ્રાપ્ત માહિતી અનુસાર, જે દરવાજો ધરાશાયી થયો તે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ તંત્રને વારંવાર સમારકામની માંગ કરવામાં આવી હતી, છતાં જરૂરી પગલાં નહીં લેવાતા આજે આ દુર્ઘટના બની.
દિલ્હી દરવાજા ઉપરાંત પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, ત્રણ દરવાજા સહિત અનેક દરવાજાઓ અમદાવાદની ઇતિહાસિક ઓળખ છે. શહેરને ‘દરવાજાઓનું શહેર’ તરીકે ઓળખવામાં આવે છે, અને આજે આ ઘટના એ ઓળખને લાગેલાં ઘા સમાન છે.





