Home Gujarat Kharge Gujarat Remark Bhupendra Patel Reaction Political Row

'ગુજરાતનું અપમાન સહન નહીં થાય' : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર

Bhupendra Patel reaction,Mallikarjun Kharge Gujarat remark
Published by: Vishal Dave
Last Updated: Apr 06, 2026, 04:08 PM IST

ગુજરાત અને ગુજરાતીઓ અંગે કરવામાં આવેલા નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભૂપેન્દ્ર પટેલએ કડક પ્રતિક્રિયા આપી છે અને તેને સાડા છ કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર પ્રહાર ગણાવ્યો છે.

ખડગેના નિવેદન પર મુખ્યમંત્રીનો આકરો પ્રહાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને “અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ પ્રકારના શબ્દો માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વ્યક્તિઓનું પણ અપમાન છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત પોતાના સ્વાભિમાન પર કોઈપણ પ્રકારની ઠેસ સહન નહીં કરે અને આ મુદ્દે કોંગ્રેસે ખુલ્લેઆમ માફી માંગવી જોઈએ.

“કોંગ્રેસની માનસિકતા વર્ષો જૂની”

મુખ્યમંત્રીે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાત વિરુદ્ધની માનસિકતા આજકાલની નથી, પરંતુ વર્ષોથી ચાલતી આવી છે. તેમના મુજબ, નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ અને ગુજરાતમાં થઈ રહેલા વિકાસને મળતું વ્યાપક સમર્થન કોંગ્રેસ માટે અસહ્ય બની રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ પોતાની રાજકીય નિષ્ફળતાઓને છુપાવવા માટે આવા નિવેદનો કરી રહી છે. ખાસ કરીને તાજેતરની ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ “બોખલાઈ” ગઈ છે.

ભૂતકાળના અન્યાયોની યાદ અપાવી

મુખ્યમંત્રીે કોંગ્રેસના ભૂતકાળના નિર્ણયોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરદાર પટેલને લાંબા સમય સુધી ભારતરત્ન ન આપવો પણ એક પ્રકારની ઉપેક્ષા હતી. ઉપરાંત, સરદાર સરોવર ડેમના કામમાં વિલંબ અને નર્મદાના પાણીથી ગુજરાતને વંચિત રાખવાનો આરોપ પણ તેમણે કોંગ્રેસ પર મૂક્યો. તેમણે ખેડૂતોને થયેલા નુકસાનની પણ ચર્ચા કરી રાસાયણિક ખાતરની સબસીડીમાં કાપ, કપાસની નિકાસ પર પ્રતિબંધ અને ઔદ્યોગિક રોકાણને અટકાવવાના પ્રયાસો જેવી બાબતોને તેમણે ગુજરાત વિરુદ્ધના ઉદાહરણ તરીકે રજૂ કરી.

ગુજરાતના વિકાસનો દાવો અને આંકડાઓ

મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસની વિગત આપતા જણાવ્યું કે રાજ્ય દેશના જીડીપીમાં 8%થી વધુ યોગદાન આપે છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 17% અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં લગભગ 40% હિસ્સો ગુજરાતનો છે. ફાર્મા, ટેક્સટાઇલ, ડાયમંડ અને કેમિકલ જેવા ક્ષેત્રોમાં ગુજરાતનું આગવું સ્થાન છે. તેમણે ગિફ્ટ સિટી, સાણંદ ઓટો હબ અને ધોલેરા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો ઉલ્લેખ કરીને રાજ્યના વિકાસને રેખાંકિત કર્યો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સવાલો

આ મુદ્દે હર્ષ સંઘવીએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે ખડગે સામે પાંચ સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે શું ગુજરાતનું અપમાન કરવું તેમની રાજકીય નીતિનો ભાગ છે? તેમણે પ્રશ્ન કર્યો કે ગુજરાતીઓની મહેનત અને સિદ્ધિઓ શું કોંગ્રેસને અસ્વીકાર્ય છે? સાથે જ ખડગેને જનતા સામે માફી માંગવાની માંગ પણ કરી.

તણાવ વધવાની શક્યતા

આ નિવેદન અને તેના પર આવેલા પ્રતિસાદથી ગુજરાત સહિત દેશભરમાં રાજકીય ગરમાવો વધી શકે છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુદ્દો વધુ ઉગ્ર બની શકે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ વિવાદ માત્ર નિવેદન સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તે ચૂંટણી પ્રચારમાં પણ મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now