Home Gujarat Tb Mukt Bharat Abhiyan Gujarats Remarkable Work

TB મુક્ત ભારત અભિયાન : ગુજરાતની નોંધપાત્ર કામગીરી

TB મુક્ત ભારત અભિયાન
Published by: OBS Bureau
Last Updated: May 29, 2025, 05:55 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે નવા ટીબી દર્દીઓના રજીસ્ટ્રેશન અને ટીબીની શ્રેષ્ઠત્તમ સારવાર દ્વારા મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર સિધ્ધી હાંસલ કરી છે.

ગુજરાત સરકારના એક રીપોર્ટ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023 માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
જેના પરિણામે કેન્દ્ર સરકારે પણ આ કામગીરીની સરાહના કરીને ગુજરાત રાજ્યને “સ્ટેટ્સ વીથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ” શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે રાખ્યું છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ ક્ષણે જણાવ્યુ હતું કે, ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર, શ્રેષ્ઠત્તમ સારવાર ઉપલબ્ધ કરાવીને મૃત્યુદર ઘટાડવા અને સ્વસ્થ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

છેલ્લા ચાર વર્ષના ડેટા પર નઝર કરીએ તો ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓ રજીસ્ટ્રેશનમાં વર્ષ 2022 માં 1,42,133,વર્ષ 2023 માં 1,33,677, વર્ષ 2024 માં 1,33,805 નોંધણી થઇ છે.
જેની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા જોતા વર્ષ 2022 માં 1,30,438 , વર્ષ 2023માં 1,22,588, અને વર્ષ 2024 માં 1,24,671 ટીબીની બિમારીને મ્હાત આપીને સાજા થયા છે.



વર્ષ 2025 (જાન્યુઆરી થી એપ્રિલ) ની સ્થિતિ જોતા 45,282 નવા ટી.બી.દર્દીઓની નોંધણી થઇ. અત્યારસુધીમાં રજીસ્ટ્રર થયેલ દર્દીઓ સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલ દર્દીઓની સંખ્યા 1011 છે. જે વર્ષ 2024-25 માં આ સમયગાળા દરમિયાન 2201 હતી. આમ ટીબીના કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

ટી.બી.ના દર્દીઓ સ્વસ્થ થાય અને મૃત્યુદર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ટીબી નિદાનના તમામ તબક્કામાં દર્દીઓને અતિજોખમી(હાઇ રીસ્ક) અને ઓછા જોખમી(લો રીસ્ક)ની શ્રેણીમાં વિભાજીત કરાય છે.

અતિજોખમી ટીબીના દર્દીઓની સારવાર માટે સબ ડિસ્ટ્રીક્ટ થી મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલ સુધી તમામ પ્રકારની સારવાર , સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દવા શરૂ થવાના 15 દિવસ બાદ અને ત્યારબાદ 2 મહિના પછી સમગ્ર સ્થિતિનું મુલ્યાંકન કરવામાં આવે છે. છ મહિનાની દવાનો કોર્ષ પૂર્ણ થયાબાદ દર્દીની ટ્રુનેટ(TrueNat) થી બલગમના ટેસ્ટ સાથે એક્સ-રે આધારિત મૂલ્યાંકન પણ કરવામાં આવે છે.

ટી.બી. દર્દીઓ માટે સારવાર, સેવાની વ્યવસ્થા

ગુજરાત રાજ્યમાં ટીબીના દર્દીઓના નિદાન માટે 2,251 નિ:શુલ્ક સૂક્ષ્મ પ્રયોગશાળાની સુવિધાઓ ઉપલબ્ધ છે. ડ્રગ રેજીસ્ટંટ ટીબી(હઠિલા ટીબી) સહિતના ટીબીના નિદાન માટે 3 ટીબી કલ્ચર પ્રયોગશાળા, 74 CBNAT મશીન અને 141 TRUNAT મશીનની સેવા ઉપલબ્ધ છે.
વધુમાં રાજ્યના પ્રત્યેક તાલુકામાં ટીબી નિદાન માટેના ટ્રુનેટ મશીન ઉપલબ્ધ બને તે માટે નવીન 181 મશીનની ખરીદ પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.

નિક્ષય પોષણ યોજના હેઠળ DBT સહાય

ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવા ભારત સરકાર દ્વારા દર મહિને રૂ. 1000ની સહાયતા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી દર્દીના ખાતામાં જમા કરાવવામાં આવે છે.

ગુજરાતમાં વર્ષ 2024 માં 1,19,833 દર્દીઓના ખાતામાં કુલ રૂ. 46.50 કરોડની સહાય DBT મારફતે જમા કરાવાઇ.

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન

જેના અતંર્ગત રાજ્યમાં 10,832 નિક્ષય મિત્રનું રજીસ્ટ્રેશન નિક્ષય પોર્ટલ પર કરવામાં આવ્યું છે. જેમાં N.G.O., C.S.R, સ્થાનિક નિકાય સદસ્યોનો સમાવેશ થાય છે. નિક્ષય મિત્રના માધ્યમથી વર્ષ 2022થી અત્યારસુધીમાં ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા કુલ 3,79,382 પોષણ કિટનું વિતરણ કરાયું છે. વર્ષ 2025 થી અત્યારસુધીમાં કુલ 18,000 પોષણ કિટનું વિતરણ કરાયું છે.

રાજ્યમાં ટીબીના દરમાં સતત ઘટાડો થાય અને વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અભિયાન સાર્થક થાય તે દિશામાં ગુજરાત સરકારના અવિરત પ્રયાસો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now