પશ્ચિમ બંગાળની રાજનીતિમાં સુવેન્દુ અધિકારીનું નામ આજે સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ગણાય છે. તેમની રાજકીય સફર ખુબ જ રસપ્રદ રહી છે જેમાં તેમણે કોંગ્રેસથી શરૂઆત કરી, બાદમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં મહત્વનો ચહેરો બન્યા અને અંતે બગાવત કરીને ભાજપમાં જોડાયા સુવેન્દુ અધિકારીએ 1989માં કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે સમય દરમિયાન બંગાળમાં ડાબેરીઓનું પ્રભુત્વ હતું છતાં તેમણે પોતાની અલગ ઓળખ ઉભી કરી. ત્યારબાદ તેઓ TMCમાં જોડાયા અને મમતા બેનર્જીના નજીકના સાથીદાર તરીકે જાણીતા બન્યા.
TMCમાં રહેતાં તેમણે નંદીગ્રામ આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેનાથી તેમની લોકપ્રિયતા ઝડપથી વધી. 2011માં બંગાળમાં ડાબેરી સરકારને હટાવવામાં તેમનું યોગદાન મહત્વનું રહ્યું. પરંતુ સમય જતાં TMC સાથે તેમના મતભેદો વધતા ગયા અને 2020માં તેમણે પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો મોટો નિર્ણય લીધો. આ પગલાએ બંગાળની રાજનીતિમાં મોટો ફેરફાર લાવ્યો. 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીને હરાવીને મોટી રાજકીય જીત નોંધાવી. ત્યારબાદ તેમણે સતત પોતાની પકડ મજબૂત બનાવી રાખી.
નંદીગ્રામ આંદોલન: ટર્નિંગ પોઇન્ટ
2007નું નંદીગ્રામ આંદોલન સુવેન્દુ અધિકારીના રાજકીય જીવનમાં સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું. જમીન અધિગ્રહણ વિરુદ્ધના આ આંદોલનમાં તેમણે આગેવાની લીધી હતી, જેના કારણે તેઓ રાજ્યસ્તરે જાણીતા બન્યા. આ આંદોલને માત્ર તેમની લોકપ્રિયતા વધારી નહીં, પરંતુ તૃણમૂલ કોંગ્રેસને સત્તા સુધી પહોંચવામાં પણ મહત્વનો ફાળો આપ્યો.
નંદીગ્રામ બાદ અધિકારીને પાર્ટીમાં વધુ જવાબદારીઓ મળી અને તેઓ લોકસભા તથા વિધાનસભા બંનેમાં ચૂંટાયા. 2016માં તેઓ પશ્ચિમ બંગાળ સરકારમાં ટ્રાન્સપોર્ટ મંત્રી બન્યા, જે તેમની રાજકીય પ્રગતિનો મહત્વપૂર્ણ પડાવ હતો.
TMC સાથે વિખવાદ અને ભાજપમાં એન્ટ્રી
2020માં સુવેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસ સામે બગાવત કરી અને ભાજપમાં જોડાયા. આ નિર્ણય પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો વળાંક માનવામાં આવ્યો. પાર્ટી અંદરના નેતૃત્વ વિવાદો અને સત્તાના કેન્દ્રમાં પરિવર્તનને કારણે તેમણે આ પગલું લીધું હોવાનું માનવામાં આવે છે. ભાજપમાં જોડાયા પછી તેમણે ઝડપથી પોતાને રાજ્યમાં પાર્ટીના મુખ્ય ચહેરા તરીકે સ્થાપિત કર્યા. ખાસ કરીને મમતા બેનર્જી સામેની તેમની સીધી ટક્કર તેમને વધુ પ્રભાવશાળી નેતા તરીકે ઉભા રાખી.
આ પણ વાંચો: યોગીના બુલડોઝર એક્શનમાં સપાની ઓફિસ સહિત 300 મકાનો ધ્વસ્ત : મોટા મોટા નેતાઓની ઊંઘ થઈ હરામ
ચૂંટણીમાં પ્રભાવ અને ‘જાયન્ટ કિલર’ છબી
2021ની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવીને મોટી રાજકીય સિદ્ધિ મેળવી. આ જીતે તેમને ‘જાયન્ટ કિલર’ તરીકે ઓળખ આપી. આગળ વધીને 2026ની ચૂંટણીમાં તેમણે એકસાથે બે બેઠકો નંદીગ્રામ અને ભવાનીપુર પર જીત મેળવી. ભવાનીપુર બેઠક મમતા બેનર્જી સાથે જોડાયેલી હોવાથી આ જીત વધુ પ્રતીકાત્મક બની. આ પરિણામોએ ભાજપને પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક મજબૂતી આપી અને સુવેન્દુ અધિકારીને રાજ્યના ટોચના નેતા તરીકે સ્થાપિત કર્યા.
ભાજપ માટે કેમ બન્યા મુખ્ય ચહેરો?
સુવેન્દુ અધિકારી ભાજપ માટે મહત્વના કેમ બન્યા તેના અનેક કારણો છે. તેઓ તૃણમૂલ કોંગ્રેસના આંતરિક માળખાને નજીકથી જાણે છે, જે ભાજપ માટે વ્યૂહાત્મક લાભ છે. સાથે જ તેઓ આક્રમક રાજકીય શૈલી અને મજબૂત જનઆધાર ધરાવે છે. તેઓ હિંદુત્વ આધારિત રાજકીય નેરેટિવ સાથે પણ સંકળાયેલા છે, જે ભાજપની વિચારધારા સાથે મેળ ખાય છે. રાજ્યમાં ભાજપ પાસે મજબૂત સ્થાનિક નેતૃત્વની અછત વચ્ચે અધિકારી સૌથી યોગ્ય વિકલ્પ તરીકે ઉભા રહ્યા.
મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા
2026માં ભાજપની મોટી જીત બાદ સુવેન્દુ અધિકારીને વિધાનસભા દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા અને તેઓ પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બનવાના છે. આ ઘટના રાજ્યની રાજનીતિમાં ઐતિહાસિક પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે.





