Gandhinagar News : આજે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવા માટે સરકાર અને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
‘ગ્રામીણ સહકારી બેંકોનોવ્યાપ વધારાશે’
રાજ્ય સરકારની તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામિણ સરકારી તથા સહકારી બેંકોનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેજા હેઠળ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ખેડૂતો અને ગ્રામિણ નાગરિકોને વધુ સારી બેંકિંગ સુવિધાઓ મળી રહે તે હેતુથી ગ્રામિણ બેંકોમાં સુવિધાઓ વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યમાં 9 નવી સહકારી બેંકો શરૂ કરવાની યોજના છે, જેના માટે જરૂરી વિગતો મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે.
'આર્થિક વિકાસને વેગ આપવા કેબિનેટ બેઠકમાં થઈ ચર્ચા'
કેબિનેટ બેઠકમાં રાજ્યના આર્થિક વિકાસને વધુ વેગ આપવા પર પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યનો GDP દર વધારવા માટે દરેક જિલ્લાનો GDP દર વધારવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને તમામ જિલ્લાઓમાં ઉદ્યોગ, ખેતી અને સેવાક્ષેત્રના વિકાસ દ્વારા GDP દર વધે તે માટે માર્ગદર્શન આપ્યું છે. જિલ્લાનો GDP વધશે તો રાજ્યનો કુલ GDP પણ વધશે અને આ રીતે રાજ્યનો GDP દર 9 થી 10 ટકા સુધી વધે તે માટે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
સુરત સ્લમ ફ્રી સિટી બનશે
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, 'શહેરી વિકાસ અંગે પણ કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. સ્લમ ફ્રી નગર અને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાના મુદ્દે સરકાર ગંભીરતાથી આગળ વધી રહી છે. હાલ ચંદીગઢ 10 લાખ વસ્તી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર છે. સરકારે સુરતને સમગ્ર દેશમાં 20 લાખથી વધુ વસ્તી ધરાવતું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનાવવાનું આયોજન કર્યું છે'. નોંધનીય છે કે 'જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સુરતમાં સ્લમ વિસ્તાર 36 ટકા હતો, જ્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસન દરમિયાન સુરતમાં સ્લમ વિસ્તાર ઘટીને માત્ર 5 ટકા રહ્યો છે. રાજ્ય સરકારે ગુજરાતના દરેક નાગરિકને પોતાનું ઘર મળે તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે'.
કમોસમી વરસાદ અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી
આ સાથે જ કૃષિ વિભાગ દ્વારા કમોસમી વરસાદ અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓને ખાસ સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદથી પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અને ખેતી સંબંધિત માર્ગદર્શન અનુસરવા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, વડાપ્રધાનના આગામી કાર્યક્રમોને લઈને પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં હાજરી આપશે, જોકે વડાપ્રધાન કાર્યાલય તરફથી હજી સુધી કાર્યક્રમનો અંતિમ સમય જાહેર કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ માટે પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા આ તમામ નિર્ણયો રાજ્યના ગ્રામિણ વિકાસ, શહેરી વિકાસ, કૃષિ સુરક્ષા અને આર્થિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થવાના છે.





















