Gujarat Forest Department: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં એ વાત પર ભાર મૂક્યો છે કે વન્યજીવ સંરક્ષણ અને વિકાસ બંને સાથે-સાથે ચાલી શકે છે, અને મનુષ્યો તેમજ વન્યજીવો બંને એકસાથે સમૃદ્ધ થવા જોઈએ. આ વિઝનથી પ્રેરિત થઈને, ગુજરાત સરકાર જૈવવિવિધતાના રક્ષણ સાથે માનવ-વન્યજીવના સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે વિજ્ઞાન આધારિત વન સંરક્ષણ પહેલો અમલમાં મૂકી રહી છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુંકે, "મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત વન વિભાગ માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવા માટે વિજ્ઞાન આધારિત વિવિધ સંરક્ષણ પગલાં અમલમાં મૂકી રહ્યું છે. વન્યજીવોના કુદરતી રહેઠાણોમાં શિકારના આધાર (પ્રે-બેઝ)ને મજબૂત કરવો એ આ વ્યૂહરચનાનો એક મુખ્ય ભાગ છે."

દીપડાના આતંકને રોકવા વાનવિભાગની પહેલ
દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં તેનો કુદરતી ખોરાક મળી રહે અને માણસો અને વન્યજીવન વચ્ચેનું ઘર્ષણ ઘટે તે ઉદ્દેશ્યથી સુરત વન વિભાગ દ્વારા તાજેતરમાં માંડવીનાં જંગલમાં તૃણાહારી પ્રાણીઓને છોડવામાં આવ્યાં છે. ગુજરાત વન વિભાગ દ્વારા તાજેતરમાં સાસણ ગીરથી ૫૦ ચિત્તલ (સ્પોટેડ ડીયર) લાવીને સુરત જિલ્લાના માંડવીનાં જંગલોમાં છોડવામાં આવ્યા છે. આ પહેલનો હેતુ એ છે કે, દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં કુદરતી શિકાર મળી રહે અને એ રીતે માનવ-વન્યજીવ વચ્ચેનું ઘર્ષણ ઓછુ કરી શકાય. વન વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું કે, ચાલુ વર્ષનાં મે અને જૂન મહિનાની વચ્ચે ત્રણ તબક્કામાં ચિત્તલને સાસણથી લાવી માંડવીનાં જંગલોમાં છોડવામાં આવ્યાં. વન વિભાગ દ્વારા 23 મેના રોજ 21 ચિત્તલ, ત્યારબાદ 18 જૂને 16 અને 24 જૂને અન્ય 13 ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યાં. આમ કુલ, 50 ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યાં.
આ પણ ખાસ વાંચોઃ એક એવું ઝાડ, જેની એક પણ ડાળી કાપવાની કોઈ નથી કરતું હિંમત : ભૂલ કરનારના આખા ઘરને ભોગવવી પડે છે સજા! સદીઓ જૂના વડ સાથે PM મોદીનું છે ખાસ કનેક્શન

વન્યજીવ સંરક્ષણ અને વિકાસ બંને સાથે-સાથે ચાલી શકે છેઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં એ વાત પર ભાર મૂક્યો છે કે વન્યજીવ સંરક્ષણ અને વિકાસ બંને સાથે-સાથે ચાલી શકે છે, અને મનુષ્યો તેમજ વન્યજીવો બંને એકસાથે સમૃદ્ધ થવા જોઈએ. આ વિઝનથી પ્રેરિત થઈને, ગુજરાત સરકાર જૈવવિવિધતાના રક્ષણ સાથે માનવ-વન્યજીવના સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે વિજ્ઞાન આધારિત વન સંરક્ષણ પહેલો અમલમાં મૂકી રહી છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, "મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત વન વિભાગ માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે વિજ્ઞાન આધારિત વન્યજીવ સંરક્ષણ માટે પગલાં લઈ રહ્યું છે. જંગલમાં વન્યપ્રાણીઓ જેવા કે દીપડા માટે કુદરતી શિકાર મળી રહે તે માટે આ પ્રયાસ થઇ રહ્યા છે. વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવેલું આ સ્થાનાંતરણ, યોગ્ય વન વિસ્તારોમાં તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધારીને પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવાના રાજ્યના લાંબા ગાળાના પ્રયાસોનો એક ભાગ છે."
"શિકારી પ્રાણીઓને જંગલમાં જ તેમનો ખોરાક મળી રહે તે જરૂરી છે"
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું કે, "શિકારી પ્રાણીઓને જંગલમાં જ તેમનો ખોરાક મળી રહે તે જરૂરી છે. જેનાથી ખોરાકની શોધમાં તેઓ માનવ વસવાટવાળા વિસ્તારો તરફ આવતા ઘટે. તૃણાહારી પ્રાણીઓને જંગલમાં છોડવાનો પ્રયાસ એ માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે." અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન જયપાલ સિંહે જણાવ્યું કે, “આ પહેલ માંડવી વન રેન્જમાં અગાઉ હાથ ધરવામાં આવેલા સંરક્ષણ કાર્યોને આગળ ધપાવે છે. વન વિભાગે સ્થાનિક તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા માટે એક ચિત્તલ સંવર્ધન કેન્દ્ર પણ (બ્રીડિંગ સેન્ટર) કર્યુ છે.”

સુરત સર્કલના વન સંરક્ષક પુનીત નૈયરે જણાવ્યું કે, “ માનવ અને વન્યજીવ સંઘર્ષ સમયે ઝડપથી પહોંચી વળવા માટે વન વિભાગે આધુનિક રેસ્ક્યૂ સાધનોથી સજ્જ એક સમર્પિત ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) પણ તૈનાત કરી છે, જેથી વન્યજીવ કટોકટીના સમયે તાત્કાલિક પગલાં લઈ શકાય અને સ્થાનિક સમુદાયો તેમજ વન્ય પ્રાણીઓ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.” પુનીત નૈયરે વધુમાં ઉમેર્યું કે, ચિત્તલને સાસણ (ગીર)થી સુરતનાં જંગલમાં લાવતા પહેલા મુક્ત કરાયેલા પ્રાણીઓને લાંબા સમય સુધી આશ્રય આપી શકે તેવા સ્થળોની ઓળખ કરવા માટે રહેઠાણનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું. આ હરણોને આખુ વર્ષ પાણી મળી રહે તેની વ્યવસ્થા પણ કરી છે. હરણો માટે જંગલમાં ૧૦ કાયમી વોટર પોઈન્ટ્સ (પાણીના સ્ત્રોત) વિકસાવ્યા છે.
વન વિભાગે પ્રાણીઓને મુક્ત કર્યા પછી તેમની સઘન દેખરેખ (પોસ્ટ-રીલીઝ મોનિટરિંગ) રાખવા માટે એક ખાસ કાર્યક્રમ પણ તૈયાર કર્યો છે. સમર્પિત વન રક્ષકો (ફોરેસ્ટ ગાર્ડ્સ) અને પ્રશિક્ષિત ટ્રેકર્સ સતત ફિલ્ડ મોનિટરિંગ કરી રહ્યા છે, જ્યારે હરણોની હિલચાલ, રહેઠાણનો ઉપયોગ, તેમનું સ્વાસ્થ્ય અને જંગલમાં તેમના અસ્તિત્વનું મૂલ્યાંકન કરવા માટે વ્યૂહાત્મક સ્થળોએ કેમેરા ટ્રેપ્સ ગોઠવવામાં આવ્યા છે.
વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પહેલ સુરત વન વિભાગની પર્યાવરણીય સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. વિજ્ઞાન આધારિત વન્યજીવ વ્યવસ્થાપન દ્વારા કુદરતી શિકારના આધારને સુધારીને, વિભાગનો ઉદ્દેશ્ય જૈવવિવિધતાના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો અને દક્ષિણ ગુજરાતમાં લાંબા ગાળાના માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવામાં યોગદાન આપવાનો છે.






