સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડીંડોલી વિસ્તારમાં આવેલ આત્મીય સંસ્કારધામ ખાતે સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
ઉધના સિટીઝન કોલેજની વિદ્યાર્થિનીઓ
માહિતી મુજબ મૃતક યુવતીઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. મૃતક વિદ્યાર્થિની રોશની શિરસાઠ 18 વર્ષની અને જોસના ચૌધરી 20 વર્ષની છે. બંનેના મૃતદેહ મંદિરના બાથરૂમમાંથી મળ્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ પરિવારજનોને યુવતીઓના ફોન કોલનો જવાબ ન મળતા ચિંતા વધતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો સ્થળ પર એકત્રિત થયા હતા.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાયા
પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આકસ્મિક મોતના કારણો જાણવા માટે તમામ પાસાઓથી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ આત્મહત્યા, અકસ્માત અથવા અન્ય કોઈ કારણ છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. બંને વિદ્યાર્થિનીઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.




















