સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા દક્ષિણ ઝોનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ખાસ હાજરી રહી હતી, જ્યારે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પત્રકાર પરિષદ સંબોધીને બેઠક અંગે વિગતવાર માહિતી આપી હતી.
આજની આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે વિગતવાર માર્ગદર્શન આપી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત અને સુનિયોજિત સંગઠન વ્યવસ્થા સાથે બુથ સ્તર સુધી, પ્રત્યેક ઘર સુધી ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાહિતની કામગીરી તેમજ સ્થાનિક ચુંટાયેલી પાંખ દ્વારા કરાયેલા કાર્યોની માહિતી પંહોચાડવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંત કોરાટ અને પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક ગોરધન ઝડફીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે ભાજપ : પ્રશાંત કોરાટે
પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. અગાઉની ચૂંટણીમાં પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી હતી અને આ વખતે પણ તે જ જીતને દોહરાવવા માટે કાર્યકરોને એક ચોક્કસ ધ્યેય સાથે કામ કરવા પ્રેરણા આપવામાં આવી છે.
બેઠક દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ઝોનમાં પણ આવી જ બેઠક યોજવાની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકરો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા અને લોકો સાથે સીધો સંપર્ક સાધવા માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંતર્ગત ‘મન કી બાત ટિફિન બેઠક’ નું આયોજન કરવામાં આવશે, જેમાં આશરે 600 જેટલા સ્થળોએ કાર્યક્રમ યોજાશે. દરેક બૂથ પર ઓછામાં ઓછા પાંચ કાર્યકરોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, 5 એપ્રિલે મહાસંમેલન યોજી મોટા પાયે જનસંપર્ક અભિયાન હાથ ધરાશે.
વધુ વાંચો: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસને લઈને ખરેખર શું મોટું સંકટ છે? : જાણો રાજ્યના ડેપ્યૂટી CM અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું
પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે ભાજપમાં તમામ નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવે છે અને ચૂંટણી માટે પ્રદેશ સમિતિની રચના પણ થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે વૈશ્વિક પરિસ્થિતિના કારણે મોંઘવારી વધી છે, છતાં લોકોનો વિશ્વાસ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર યથાવત છે.
સુરતમાં બનેલી ઘટનાઓ અંગે માહિતી મેળવી આગળની કામગીરી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.






