Surat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરતનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતમાં એક ભવ્ય જન સમર્થન યાત્રા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રચારના આ જોરદાર માહોલે સુરતને કેસરીયા રંગે રંગી દીધું છે.
વરાછાના ગઢમાં 4.9 કિમીનો કેસરીયો માહોલ
પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં ભાજપ દ્વારા પોતાની તાકાત બતાવવામાં આવી હતી. નાના વરાછા ઢાળથી હીરાબાગ સર્કલ સુધીના અંદાજે 4.9 કિમી લાંબા રૂટ પર ભવ્ય રોડ શો યોજાયો હતો. આ યાત્રા નાના વરાછાથી શરૂ થઈ ચીકુવાડી, કાપોદ્રા BAPS મંદિર અને વિવિધ ચાર રસ્તાઓ પરથી પસાર થઈ હતી, જ્યાં ઠેર-ઠેર મુખ્યમંત્રીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: લેન્સકાર્ટ સામે વડોદરાના ઓપ્ટિકલ વેપારીઓનો હલ્લાબોલ : ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપ સાથે 'બોયકોટ'ના નારા
દિગ્ગજ નેતાઓની હાજરી અને કાર્યકરોનો ઉત્સાહ
આ જન સમર્થન યાત્રામાં મુખ્યમંત્રીની સાથે સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો, પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને હજારોની સંખ્યામાં ઉત્સાહી કાર્યકરો. માર્ગમાં આવતા દરેક સર્કલ અને સોસાયટીઓ પાસે ભાજપના કાર્યકરો અને સમર્થકોએ નારાબાજી અને પુષ્પવર્ષા કરીને માહોલ ગજવી દીધો હતો. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ રોડ શોને એક મોટા શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે.
કતારગામમાં વિરાટ જનસભાનું આયોજન
રોડ શો પૂર્ણ થયા બાદ, ભાજપ દ્વારા કતારગામ વિસ્તારમાં એક વિરાટ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનતાને સંબોધશે. માનવામાં આવે છે કે મુખ્યમંત્રી આ મંચ પરથી સરકારની સિદ્ધિઓ ગણાવીને ચૂંટણી માટે વિજયી મંત્ર આપશે અને સુરતની જનતાને ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકવા અપીલ કરશે. સુરતમાં જે રીતે જનમેદની ઉમટી છે તે જોતા લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ અત્યંત રસપ્રદ બનશે. ભાજપના આક્રમક પ્રચારથી અન્ય રાજકીય પક્ષોમાં પણ દોડધામ મચી ગઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પંચાયતી રાજને નવી દિશા આપવાનું કોંગ્રેસનું વિઝન જાહેર : અમિત ચાવડાના મોટા વચનો





