સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગર ડિમોલિશન પ્રકરણને લઈને શરૂ થયેલો વિવાદ હવે ભાજપના આંતરિક રાજકીય ઘર્ષણ સુધી પહોંચી ગયો છે. ડિમોલિશન મામલે ધારાસભ્ય વિનુ મોરડિયાએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની સંભવિત ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા બાદ સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ સામાજિક કાર્યકર અને હિન્દુત્વવાદી વક્તા તરીકે જાણીતા Kajal Hindustaniએ સોશિયલ મીડિયા મારફતે વિનુ મોરડિયા પર આક્ષેપો કર્યા હતા, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો હતો.
આ વિવાદમાં હવે ભાજપના મહિલા નેતા અને પૂર્વ કોર્પોરેટર Swati Sosa ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે. સ્વાતિ સોસાએ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનોને ફગાવતા કહ્યું છે કે ધારાસભ્ય વિનુ મોરડીયાને વ્યક્તિગત રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર મુદ્દે અધૂરી માહિતીના આધારે નિવેદનો આપવામાં આવી રહ્યા છે.
સુરત 'ભૂતિયા' ડિમોલિશન વિવાદમાં નવા આક્ષેપો: પીડિતો પર દબાણ અને પ્રલોભનો અપાતાં હોવાનો કોંગ્રેસનો દાવો
કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપોથી વધ્યો વિવાદ
નાસીરનગર ડિમોલિશન બાદ કાજલ હિન્દુસ્તાની દ્વારા સોશિયલ મીડિયા અને જાહેર નિવેદનોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા ગેરકાયદેસર કબજેદારો અને ઘૂસણખોરોના પક્ષમાં ઊભા છે. આ નિવેદનો બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપો સામે પ્રતિક્રિયા આપતા સ્વાતિ સોસાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વિનુ મોરડિયાને ટાર્ગેટ કરતી પોસ્ટ્સ જોવા મળી રહી છે. તેમના મતે, કાજલ હિન્દુસ્તાનીને સમગ્ર ઘટનાક્રમની સંપૂર્ણ માહિતી નથી અથવા તેમને ખોટી રીતે માહિતી આપવામાં આવી છે.
સ્વાતિ સોસાના જણાવ્યા મુજબ, વિનુ મોરડિયાએ ક્યારેય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરીને સમર્થન આપ્યું નથી અને તેમના વિરુદ્ધ કરવામાં આવતા આક્ષેપો તથ્યવિહીન છે.
સુરતમાં શિક્ષણ સામે મોટો પડકાર: સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસને કારણે 13,500થી વધુ બાળકો શાળાથી દૂર
‘વિનુ મોરડિયાના હિન્દુત્વ પર સવાલ ઉઠાવી શકાય નહીં’
ધારાસભ્યની રાજકીય અને સંગઠનાત્મક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા સ્વાતિ સોસાએ કહ્યું કે વિનુ મોરડિયા લાંબા સમયથી રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા છે. તેમણે દાવો કર્યો કે વર્ષ 1992થી તેઓ હિન્દુ સંગઠનો સાથે સક્રિય રીતે કાર્યરત રહ્યા છે અને વિવિધ સામાજિક તથા ધાર્મિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા રહ્યા છે.
સોસાએ વધુમાં જણાવ્યું કે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે પ્રશ્નો ઉઠાવવાથી લઈને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સુધી વિનુ મોરડિયા સતત સક્રિય રહ્યા છે. આવા નેતા પર કરવામાં આવતા આક્ષેપો આશ્ચર્યજનક હોવાનું તેમણે જણાવ્યું.
ડિમોલિશન મામલે ધારાસભ્યએ શું સવાલ પૂછ્યો?
સ્વાતિ સોસાએ સમગ્ર વિવાદના મૂળ મુદ્દાને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરતા જણાવ્યું કે નાસીરનગર ડિમોલિશન દરમિયાન વિનુ મોરડિયાએ માત્ર એક મૂળભૂત પ્રશ્ન પૂછ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ધારાસભ્ય તરીકે તેમણે જાણવા માંગ્યું હતું કે આ ડિમોલિશનની કાર્યવાહી કયા વિભાગ અથવા કઈ સત્તા દ્વારા કરવામાં આવી હતી.
સુરતમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા!: નશામાં ધૂત ASIએ BRTS બસને મારી ટક્કર, કારમાંથી મળી દારૂની બોટલ અને પોલીસ વર્દી
સોસાના દાવા અનુસાર, સુરત મહાનગરપાલિકાએ તે સમયે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. ત્યારબાદ વિનુ મોરડિયાએ બીજો સવાલ પૂછ્યો હતો કે જો મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી નથી તો પછી ડિમોલિશન માટે જવાબદાર કોણ છે.
તેમણે કહ્યું કે માત્ર આ પ્રશ્નોને ખોટી રીતે રજૂ કરીને વિવાદ ઊભો કરવામાં આવ્યો છે અને તેને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.
કાજલ હિન્દુસ્તાનીને કતારગામની મુલાકાત લેવાની સલાહ
સ્વાતિ સોસાએ વધુમાં જણાવ્યું કે તેમને ખબર નથી કે કાજલ હિન્દુસ્તાની કોઈના ઈશારે નિવેદનો આપી રહ્યા છે કે નહીં, પરંતુ એવું ચોક્કસ લાગે છે કે તેમને અધૂરી માહિતી આપવામાં આવી છે. તેમણે કાજલ હિન્દુસ્તાનીને એકવાર કતારગામ અને નાસીરનગર વિસ્તારની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે સીધી વાતચીત કરવાની સલાહ આપી.
તેમના મતે, સ્થળ પર જઈને વાસ્તવિક પરિસ્થિતિ જાણ્યા બાદ સમગ્ર ઘટનાક્રમનું વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવી શકે છે.
'તમારા મનની વાત જાણું છું'... કહીં વૃદ્ધોને ફસાવતો નકલી બાબા ઝડપાયો: સોનું પડાવવાની ચોંકાવનારી તરકીબનો પર્દાફાશ
નાસીરનગર વિવાદ હવે રાજકીય કેન્દ્રબિંદુ
નાસીરનગર ડિમોલિશન મામલો શરૂઆતમાં વહીવટી અને કાનૂની સવાલો સુધી મર્યાદિત હતો, પરંતુ હવે તે રાજકીય આક્ષેપ-પ્રત્યારોપના તબક્કામાં પ્રવેશી ગયો છે. એક તરફ ડિમોલિશનની કાયદેસરતા અને જવાબદારી અંગે સવાલો ઉઠી રહ્યા છે, જ્યારે બીજી તરફ વિવિધ નેતાઓ વચ્ચે નિવેદનબાજી વધી રહી છે.
મહત્વનું છે કે આ મામલે વિવિધ પક્ષો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને દાવાઓની સત્તાવાર તપાસ હજુ ચાલુ છે. ડિમોલિશનની પ્રક્રિયા, તેમાં સંડોવાયેલા તત્વો અને જવાબદારી અંગેનો અંતિમ ચિતાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.





