વડોદરાની હરણી તળાવ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે તળાવના સંચાલન માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સે જે રૂ.1.2 કરોડથી વધુની વળતર રકમ જમા કરાવી છે, તે રકમ હરણી તળાવમાં 18 જાન્યુઆરી, 2024 ના રોજ થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાર બાળકો અને બે શિક્ષકોના પરિવારજનોને વિતરીત કરવામાં આવે.
અરજદારો તરફથી રજૂ થયેલા સિનિયર વકીલે જણાવ્યું હતું કે રૂ.81,99,664 અને રૂ.30,74,880 ની રકમ ડેપ્યુટી કલેક્ટર વડોદરા પાસે જમા કરાવવામા આવી છે અને તે રકમ પીડિત પરિવારજનોને આપી દેવા સામે કોઈ વાંધો નથી.
આ નિવેદનના આધારે ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ન અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની બેન્ચે વડોદરા ડેપ્યુટી કલેક્ટરને છ અઠવાડિયામાં આ રકમ ચુકવવાનું સૂચન કર્યું હતું. કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના પૂર્વ આદેશ અંગે પણ નોંધ લીધી હતી.





