ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરની હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા પનીરની ગુણવત્તા તપાસવા માટે એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને પનીર અને તેની જગ્યાએ વપરાતા 'એનાલોગ પનીર' (નકલી પનીર) ના વેચાણ અને તેના ડિસ્પ્લે બોર્ડ લગાવવા અંગે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એક જ દિવસમાં 347 પેઢીઓની તપાસ
ગાંધીનગર સ્થિત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 4 એપ્રિલ 2026 ના રોજ સમગ્ર રાજ્યમાં ખાણીપીણીના રેસ્ટોરન્ટ, ધાબા અને લારી-ગલ્લાઓ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન કુલ 347 પેઢીઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસનો મુખ્ય હેતુ ગ્રાહકોને ખરેખર પનીર ખવડાવવામાં આવે છે કે એનાલોગ, તેની પારદર્શિતા લાવવાનો છે.
રૂપિયા 1.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ 1,40,800/- રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાં અમદાવાદની જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટ્સનો પણ સમાવેશ થાય છે. મુખ્ય દંડની વિગતો નીચે મુજબ છે:
શ્રી બાલાજી વેફર્સ, જોધપુર: 25,000/- રૂપિયા
સુરત મહાનગરપાલિકા વિસ્તાર: 52,300/- રૂપિયા
નિકોલની લા ફીએસ્ટા રેસ્ટોરન્ટ: 8,000/- રૂપિયા
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર: 3,500/- રૂપિયા
આ ઉપરાંત મણિનગરના હાઉસ ઓફ મોમોઝ, શક્તિ સેન્ડવીચ અને પંજાબી તડકા જેવી પેઢીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો: નકલી ટૂથપેસ્ટ ફેક્ટરીનો પર્દાફાશ : લાખોની ગેરકાયદે પેસ્ટ જપ્ત, નકલી ટૂથપેસ્ટથી બજાર ભરાતું હતું
615 કિલો જથ્થાનો નાશ
માત્ર દંડ જ નહીં, પરંતુ આરોગ્ય માટે જોખમી જણાય તેવા અખાદ્ય પદાર્થો સામે પણ પગલાં લેવાયા છે. ફૂડ વિભાગ દ્વારા તપાસ દરમિયાન મળી આવેલો આશરે 615 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર રાજ્યમાં હોટલ અને ધાબા પર પનીર/એનાલોગના ડિસ્પ્લે બોર્ડ પ્રદર્શિત કરવા અંગે સઘન ઝુંબેશ ચાલુ છે, જેથી ગ્રાહકો જાણી શકે કે તેઓ શું ખાઈ રહ્યા છે.




