Supreme Court: ભારતીય ન્યાયતંત્રમાં દાયકાઓથી 'તારીખ પે તારીખ'ની જે પરંપરા ચાલી રહી છે, જેના કારણે લાખો કેસો વર્ષો સુધી પેન્ડિંગ રહે છે, તે દિશામાં સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે તમામ હાઈકોર્ટ માટે નવા અને અનિવાર્ય દિશાનિર્દેશો જાહેર કર્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક પ્રક્રિયામાં થતા બિનજરૂરી વિલંબને રોકવાનો છે. આ નિર્ણય માત્ર કેસોના નિકાલ માટે જ નહીં, પરંતુ માનવીય અભિગમ અપનાવીને જેલમાં બંધ અંડરટ્રાયલ કેદીઓને પણ મોટી રાહત આપનારો છે. સુપ્રીમ કોર્ટની આ નવી માર્ગદર્શિકા અંતર્ગત, હવે કોઈ પણ જજ કે હાઈકોર્ટ અનિશ્ચિત સમય માટે પોતાનો ચુકાદો અનામત રાખી શકશે નહીં. આ ઉપરાંત, જામીનના આદેશો અને કેદીઓની મુક્તિ માટે પણ કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી ન્યાયમાં થતા વિલંબને કારણે કોઈ નિર્દોષે જેલમાં સબડવું ન પડે.
અનામત ચુકાદાઓ હવે મહત્તમ ૩ મહિનામાં જાહેર કરવા પડશે
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હાઈકોર્ટમાં જે પણ કેસમાં ચુકાદો અનામત (Reserved Judgment) રાખવામાં આવ્યો હોય, તેને ત્રણ મહિનાની અંદર જાહેર કરવો ફરજિયાત છે. આ સમયમર્યાદા ઓળંગવી ન્યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન ગણાશે. આ સાથે જ, જે દિવસે કેસનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હોય, તેની સત્તાવાર માહિતી સંબંધિત હાઈકોર્ટની વેબસાઈટ પર પણ મૂકવી પડશે, જેથી તમામ પક્ષકારો પારદર્શિતા સાથે પરિસ્થિતિ જાણી શકે.
જામીન મળ્યાના બીજા જ દિવસે કેદીને મુક્તિની સુનિશ્ચિતતા
જ્યારે કોઈ કેદીને જામીન મળે છે, ત્યારે પણ કાગળની પ્રક્રિયા અને વહીવટી વિલંબને કારણે તેમને જેલમાંથી બહાર આવતા દિવસો લાગી જતા હોય છે. સુપ્રીમ કોર્ટે આ અંગે સંવેદનશીલતા દાખવીને સૂચના આપી છે કે, જામીન સંબંધિત આદેશો આદર્શ રીતે બીજા જ દિવસે જારી કરી દેવા જોઈએ અને તે જ દિવસે જેલ પ્રશાસન સુધી પહોંચાડવા જોઈએ. અદાલતે ભારપૂર્વક જણાવ્યું છે કે, જે અંડરટ્રાયલ કેદીઓને જામીન મળ્યા છે, તેમની મુક્તિ તે જ દિવસે અથવા મહત્તમ બીજા દિવસે થઈ જવી જોઈએ.
ચુકાદાના કારણો 7 દિવસમાં વેબસાઈટ પર અપલોડ કરવા પડશે
પારદર્શિતા વધારવા માટે સુપ્રીમ કોર્ટે નવી સિસ્ટમ દાખલ કરી છે. હવે કોર્ટ પહેલા ઓપરેટિવ પાર્ટ (ચુકાદાનો મુખ્ય ભાગ) ખુલ્લી અદાલતમાં સંભળાવશે અને ત્યારબાદ તેના વિસ્તૃત કારણો અને તર્ક સાત દિવસની અંદર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. આનાથી વકીલો અને પક્ષકારોને ચુકાદાના મુખ્ય તારણો તરત જ મળી જશે અને વિગતવાર અભ્યાસ માટે તેઓ વેબસાઈટનો ઉપયોગ કરી શકશે.






