વૈશ્વિક હવામાન પરિવર્તન વચ્ચે હવે એક નવી ચેતવણી વિશ્વભરના વૈજ્ઞાનિકો અને હવામાન એજન્સીઓ તરફથી સામે આવી રહી છે. 2026 દરમિયાન શક્તિશાળી ‘સુપર અલ નીનો’ વિકસવાની સંભાવનાઓ વધતી જઈ રહી હોવાનું અનેક આંતરરાષ્ટ્રીય હવામાન મોડલ્સ સૂચવી રહ્યા છે. અમેરિકાની NOAA, વર્લ્ડ મેટિયોરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અને અન્ય વૈશ્વિક હવામાન સંસ્થાઓએ પ્રશાંત મહાસાગરમાં વધી રહેલા અસામાન્ય ગરમ પાણી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તાજેતરના અહેવાલો મુજબ, જૂનથી જુલાઈ 2026 વચ્ચે અલ નીનો વિકસવાની સંભાવના 60થી 70 ટકા વચ્ચે હોવાનું અનુમાન છે. કેટલાક યુરોપિયન હવામાન મોડલ્સે તો આ ઘટના ‘સુપર અલ નીનો’ માં ફેરવાઈ શકે તેવી પણ ચેતવણી આપી છે, જોકે વૈજ્ઞાનિકો હજુ અંતિમ નિષ્કર્ષથી દૂર છે અને સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે.
1877ના વિનાશક અલ નીનો સાથે થઈ રહી સરખામણી
હવામાન નિષ્ણાતો 1877-78ના ઐતિહાસિક અલ નીનોનો ઉલ્લેખ કરી રહ્યા છે, જેને માનવ ઇતિહાસની સૌથી ભયાનક હવામાન આપત્તિઓમાં ગણવામાં આવે છે. તે સમય દરમિયાન ભારત, ચીન, બ્રાઝિલ અને આફ્રિકાના અનેક વિસ્તારોમાં ભીષણ દુષ્કાળ પડ્યો હતો. ખાદ્ય સંકટ, રોગચાળો અને પાણીની અછતને કારણે લાખો લોકોના મોત થયા હતા. નવા મોડલ્સમાં જોવાતા સંકેતોને કારણે વૈજ્ઞાનિકો ફરી એકવાર તેવી જ પરિસ્થિતિના જોખમ અંગે ચેતવણી આપી રહ્યા છે.
હાલના વૈજ્ઞાનિકો એક મહત્વની વાત સ્પષ્ટ કરી રહ્યા છે કે આજની દુનિયા 19 મી સદી કરતાં વધુ તૈયાર છે. સેટેલાઇટ, સમુદ્રી બૂઈઝ અને એડવાન્સ ક્લાઈમેટ મોડલ્સના કારણે હવે હવામાનની આગાહી વધુ ચોક્કસ રીતે શક્ય બની છે. છતાં, ગ્લોબલ વોર્મિંગને કારણે અલ નીનોની અસર વધુ તીવ્ર બની શકે છે.
ભારત માટે કેમ વધી રહી છે ચિંતા?
ભારત માટે અલ નીનો હંમેશાં ચિંતાનો વિષય રહ્યો છે કારણ કે તેનો સીધો સંબંધ દક્ષિણ-પશ્ચિમ ચોમાસા સાથે માનવામાં આવે છે. સામાન્ય રીતે અલ નીનોના વર્ષોમાં ભારતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાય છે. ખાસ કરીને કૃષિ આધારિત અર્થતંત્ર માટે આ પરિસ્થિતિ ગંભીર સાબિત થઈ શકે છે.
હવામાન વિશ્લેષકોનું માનવું છે કે જો 2026માં મજબૂત અલ નીનો સર્જાય તો દેશમાં હીટવેવની તીવ્રતા વધી શકે છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં લાંબી ગરમી, પાણીની અછત અને ખેતીમાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનિયમિત વરસાદના કારણે કપાસ, ચોખા, ઘઉં અને દાળ જેવા પાકો પર અસર પડી શકે છે. જેના પરિણામે ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારો અને મોંઘવારીનો દબાણ પણ વધી શકે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતે જળ સંચય, સિંચાઈ વ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષા માટે આગોતરા પગલાં લેવાની જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વધતી ગરમી અને અનિયમિત વરસાદે પહેલાથી જ કૃષિ ક્ષેત્રને અસર પહોંચાડી છે.
સુરતમાં ગરમીના કારણે 28 વર્ષીય યુવકનું મોત!: "હજુ પણ વધશે ગરમી..." અંબાલાલ પટેલે કરી 'માથું ફાડતી' આગાહી
શું હોય છે ‘સુપર અલ નીનો’?
અલ નીનો એક કુદરતી હવામાન પ્રક્રિયા છે જેમાં પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગનું પાણી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. આ ગરમ પાણી વૈશ્વિક હવામાન ચક્રને અસર કરે છે અને વરસાદ, તાપમાન તથા વાવાઝોડાની પેટર્નમાં મોટા ફેરફારો લાવે છે.
જ્યારે આ ગરમી સામાન્ય મર્યાદાથી ઘણી વધારે વધી જાય ત્યારે તેને ‘સુપર અલ નીનો’ કહેવામાં આવે છે. ઇતિહાસમાં 1982-83, 1997-98 અને 2015-16ના અલ નીનોને સૌથી શક્તિશાળી ઘટનાઓમાં ગણવામાં આવે છે. વૈજ્ઞાનિકો હવે 2026 ની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે કારણ કે પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાં પાણીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે.
દુનિયાભરમાં કેવી અસર થઈ શકે?
હવામાન મોડલ્સ અનુસાર 2026 અને 2027 દરમિયાન વિશ્વભરમાં અસામાન્ય હવામાન જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ અને પૂર આવી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં લાંબા સમય સુધી દુષ્કાળ અને ગરમી રહેવાની શક્યતા છે.
દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને દક્ષિણ એશિયાના વિસ્તારોમાં વરસાદની અછત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમુદ્રનું વધતું તાપમાન દરિયાઈ જીવસૃષ્ટિ માટે પણ ખતરો ઉભો કરી શકે છે. કોરલ બ્લીચિંગ અને માછલીઓની સંખ્યામાં ઘટાડો જેવી સમસ્યાઓ વધી શકે છે.
વૈશ્વિક સ્તરે 2026 અથવા 2027 અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષોમાં સામેલ થઈ શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ગરમી જીવલેણ બની! : આ જિલ્લામાં હીટસ્ટ્રોકથી બેના મોતે તંત્રને દોડતું કર્યું, જાણો બચવાના ઉપાયો
વૈજ્ઞાનિકો શું કહી રહ્યા છે?
WMO અને NOAA એ સ્પષ્ટ કર્યું છે કે હાલના તમામ સંકેતો ગંભીર છે, પરંતુ આ તબક્કે ચોક્કસ પરિણામ જાહેર કરવું વહેલું ગણાશે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વસંત ઋતુ દરમિયાન ENSO સંબંધિત આગાહીઓમાં અનિશ્ચિતતા રહેતી હોય છે, તેથી આગામી કેટલાક મહિનાના ડેટા અત્યંત મહત્વના રહેશે.
તેમ છતાં, વૈશ્વિક સ્તરે સરકારો અને નીતિનિર્માતાઓ માટે આ એક મોટો ચેતવણી સંકેત માનવામાં આવી રહ્યો છે. વધતા હવામાન જોખમોને ધ્યાનમાં રાખીને પાણી, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય અને ઊર્જા ક્ષેત્રમાં લાંબા ગાળાના આયોજનની જરૂરિયાત વધુ મજબૂત બની રહી છે.





