અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિકન્સ્ટ્રક્શન માટેની મહત્ત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં આ બ્રિજને તોડી પાડવાની (ડિમોલિશન) કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે, જેના કારણે સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સુભાષ બ્રિજ પર શરૂ થયેલી આ કામગીરીને પગલે, રિવરફ્રન્ટના કેટલાક વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અગવડતા ન પડે તે માટે વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે વાહનચાલકો દરરોજ આ રૂટનો ઉપયોગ કરે છે, તેમણે મુસાફરી શરૂ કરતા પહેલા આ નવા ટ્રાફિક ડાયવર્ઝન વિશે જાણી લેવું અત્યંત જરૂરી છે.
કયો રૂટ રહેશે બંધ?
સુભાષ બ્રિજની કામગીરી દરમિયાન જાહેર જનતાની સલામતી સર્વોપરી છે. આ હેતુથી પૂર્વ બાજુએ આવેલો રિવરફ્રન્ટ રોડ, ખાસ કરીને શીતલ એક્વા ફ્લેટથી ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટ સુધીનો રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં, સુભાષ બ્રિજની પૂર્વ બાજુએ આવેલો રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ (વોકવે) પણ જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સામાન્ય જનતા માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત: જાણો હવામાન વિભાગે કઈ તરીખે વરસાદની કરી છે આગાહી
વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની માહિતી
AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વાહનચાલકો માટે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે:
શીતલ એક્વા ફ્લેટથી આવતા વાહનો: શીતલ એક્વા ફ્લેટથી જમણી બાજુ વળીને ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટ થઈને રિવરફ્રન્ટ તરફ જઈ શકાશે.
ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટથી આવતા વાહનો: ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટથી ડાબી બાજુ વળીને શીતલ એક્વા ફ્લેટ થઈને રિવરફ્રન્ટ તરફ જવાનો રૂટ વાપરી શકાશે.
તંત્રની ખાસ નોંધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વાહનચાલકો અને રાહદારીઓને આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે. જો કોઈ નાગરિકને મ્યુનિસિપલ સેવાઓને લગતી વધુ ફરિયાદ કે માહિતી જોઈતી હોય, તો તેઓ ૧૫૫૩૦૩ નંબર પર સંપર્ક કરી શકે છે.





