જિલ્લા પોલીસ વિભાગમાં શિસ્ત અને કાર્યક્ષમતાને મજબૂત બનાવવા માટે એસ.પી. જયદીપસિંહ જાડેજાએ મોટો વહીવટી પગલું ભર્યું છે. તેમના આદેશથી એક સાથે 176 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા, તેમજ ત્રણ વર્ષથી વધુ સમય પૂર્ણ કરનાર પોલીસ કર્મચારીઓને નવી જગ્યાએ મોકલવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લા પોલીસ તંત્રમાં જડમૂળથી ફેરફાર આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, આ બદલી પ્રક્રિયામાં દરેક પોલીસ સ્ટેશન ઉપરાંત LCB અને SOG બ્રાન્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી એક જ પોસ્ટ પર રહેલા કર્મચારીઓ સામે વારંવાર ફરિયાદો અને કામગીરી અંગે અસંતોષ જોવા મળતો હતો. જેના પગલે એસ.પી. જાડેજાએ કોઈપણ દબાણ કે ભલામણને ધ્યાનમાં લીધા વગર કડક નિર્ણય લીધો છે. રાજકીય ભલામણો અને લાગવગીયા ગણાતા કેટલાક કર્મચારીઓ પણ આ કાર્યવાહીમાંથી બચી શક્યા નથી.
આ કાર્યવાહી બાદ પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. ઘણા કર્મચારીઓ માટે આ નિર્ણય ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કામચોર અને શિસ્તભંગ કરનાર કર્મચારીઓ માટે હવે કડક સમય શરૂ થયો છે તેવા સંકેતો મળી રહ્યા છે. વહીવટી વર્તુળોમાં ચર્ચા છે કે આવનારા સમયમાં કામગીરી, હાજરી અને જનસંપર્કના આધારે વધુ પગલાં લેવાઈ શકે છે.





















