લદ્દાખના જાણીતા શિક્ષણવિદ અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકના આમરણ અનશનને લઈને દેશભરમાં રાજકીય અને સામાજિક ચર્ચા વધુ તેજ બની છે. દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા તેમના અનશન દરમિયાન દિલ્હી પોલીસે તેમને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ પણ તેમણે પોતાનું અનશન ચાલુ રાખ્યું હોવાનું તેમના પરિવાર દ્વારા જણાવાયું છે. બીજી તરફ તેમની પત્ની ગીતાંજલિ આંગમોએ દેશવાસીઓને સંદેશ પાઠવી સોનમ વાંગચુકના સમર્થનમાં ઉભા રહેવા અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
સોનમ વાંગચુક છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ માંગણીઓને લઈને ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમની તબિયત બગડવાની શક્યતા વચ્ચે દિલ્હી પોલીસે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે પરિવારનું કહેવું છે કે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં તેમનું આમરણ અનશન યથાવત છે.
AIIMSના ડૉક્ટરોએ આપ્યું હેલ્થ અપડેટ
સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે AIIMSના ઇમરજન્સી મેડિસિન વિભાગના એડિશનલ પ્રોફેસર ડૉ. અક્ષય કુમારે માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ સોનમ વાંગચુકના તમામ મહત્ત્વના સ્વાસ્થ્ય સંબંધિત પેરામીટર્સ હાલમાં સામાન્ય છે. તેમનું બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ અને નાડીના ધબકારા સામાન્ય સ્થિતિમાં છે. ડૉક્ટરોએ જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે ભાનમાં છે અને સામાન્ય રીતે વાતચીત કરી રહ્યા છે. જોકે લાંબા સમયથી અનશન ચાલુ હોવાથી તેમને IV ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ્સ લેવા માટે સતત સમજાવવામાં આવી રહ્યા છે. તેમની તબિયત પર હોસ્પિટલની તબીબી ટીમ સતત નજર રાખી રહી છે.
પત્ની ગીતાંજલિ આંગમોની દેશને અપીલ
સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગમોએ દેશવાસીઓને સંબોધીને ભાવુક અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે સોનમ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પોતાના નિર્ણય પર અડગ છે અને આમરણ અનશન ચાલુ રાખ્યું છે. તેમણે દેશભરના લોકોને શાંતિપૂર્ણ રીતે તેમના સમર્થનમાં ઉભા રહેવા અને સોનમના વહેલા સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી છે. ગીતાંજલિના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ અનેક લોકોએ સોનમ વાંગચુકને સમર્થન વ્યક્ત કર્યું છે.
જંતર-મંતર પર વિરોધ વધુ તેજ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શન વધુ તેજ બન્યું છે. આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે પણ ભૂખ હડતાળ શરૂ કરી છે. તેમનું કહેવું છે કે સોનમ વાંગચુકને બળજબરીથી ધરણા સ્થળેથી હટાવવામાં આવ્યા હતા અને હવે આંદોલન વધુ મજબૂત રીતે આગળ વધારવામાં આવશે. વિરોધ પ્રદર્શનને વધુ સમર્થન ત્યારે મળ્યું જ્યારે આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચંદ્રશેખર આઝાદ પણ જંતર-મંતર પહોંચ્યા અને પ્રદર્શનકારીઓ સાથે જોડાયા. તેમણે સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો દરેક નાગરિકને અધિકાર છે.
દિલ્હી પોલીસની કાર્યવાહી ચર્ચામાં
દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ પગલું દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો અને તબીબી સલાહને આધારે લેવામાં આવ્યું હતું. બીજી તરફ વિરોધ પક્ષો અને સોનમ વાંગચુકના સમર્થકોનું કહેવું છે કે આ કાર્યવાહીથી તેમના લોકશાહી અધિકારો પર અસર પડી છે. આ મુદ્દે રાજકીય ચર્ચા પણ શરૂ થઈ છે અને વિવિધ સંગઠનો સરકારના વલણ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો: ભાડે કાર લઈને વેચી નાખતો ઠગ ઝડપાયો : સુરત ક્રાઈમ બ્રાન્ચે રૂ. 25 લાખના મુદ્દામાલ સાથે કર્યો મોટો પર્દાફાશ






