માઉન્ટ એવરેસ્ટની બર્ફીલી ચોટીઓ પર છેલ્લા 30 વર્ષથી રહસ્ય બનેલો 'ગ્રીન બૂટ્સ' હવે ઓળખ મેળવી ચૂક્યો છે. તાજેતરમાં થયેલા DNA પરીક્ષણમાં પુષ્ટિ થઈ છે કે એવરેસ્ટના 'ડેથ ઝોન'માં બરફમાં જામી ગયેલો મૃતદેહ ITBPના હેડ કોન્સ્ટેબલ શેવાંગ પાલ્જોરનો નહીં પરંતુ ભારતીય સેનાના લાન્સ નાયક દોરજે મોરુપનો છે. હવે ત્રણ દાયકાની રાહ બાદ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં તેમનો પાર્થિવ દેહ લદ્દાખમાં પરિવારને સોંપવાની તૈયારી ચાલી રહી છે. દોરજે મોરુપ વર્ષ 1996માં એવરેસ્ટ સર કરવાના ઐતિહાસિક અભિયાનમાં સામેલ હતા. તેઓ શેવાંગ પાલ્જોર અને સુબેદાર શેવાંગ સમનલા સાથે તિબેટના ઉત્તર માર્ગથી એવરેસ્ટ સર કરનારી પ્રથમ ભારતીય ટીમના સભ્ય હતા. જોકે 10 મે, 1996ના રોજ શિખર નજીક ભયંકર બર્ફીલા તોફાનમાં ત્રણેય ફસાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદમાં વિશ્વપ્રસિદ્ધ '1996 માઉન્ટ એવરેસ્ટ ડિઝાસ્ટર' તરીકે જાણીતી બની હતી, જેમાં તે સિઝનમાં કુલ 12 પર્વતારોહકોના મોત થયા હતા.
30 વર્ષથી 'ગ્રીન બૂટ્સ' તરીકે ઓળખાતો રહ્યો મૃતદેહ
દોરજે મોરુપનો મૃતદેહ એવરેસ્ટના ઉત્તરીય માર્ગ પર આશરે 26,247 ફૂટની ઊંચાઈએ આવેલી નાની ખડકાળ ગુફામાં પડ્યો હતો. તેમના પગમાં પહેરેલા લીલા રંગના બૂટને કારણે વિશ્વભરના પર્વતારોહકો તેને 'ગ્રીન બૂટ્સ' તરીકે ઓળખતા હતા. વર્ષ 1996માં બ્રિટિશ પર્વતારોહક અને ફિલ્મમેકર મેટ ડિકિન્સને પ્રથમ વખત આ મૃતદેહનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું, જે બાદમાં 'સમિટ ફીવર' ડોક્યુમેન્ટરીમાં પણ દર્શાવવામાં આવ્યું હતું.
વર્ષો સુધી ઘણા લોકો આ મૃતદેહને ITBPના હેડ કોન્સ્ટેબલ શેવાંગ પાલ્જોરનો હોવાનું માનતા રહ્યા હતા. જોકે તાજેતરમાં થયેલા DNA પરીક્ષણથી આ ગેરસમજ દૂર થઈ અને મૃતદેહ લાન્સ નાયક દોરજે મોરુપનો હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ.
પત્નીની 30 વર્ષની રાહ હવે પૂરી થશે
લદ્દાખમાં રહેતી દોરજે મોરુપની 75 વર્ષીય પત્ની કોનચોક યાંગસ્કિટ છેલ્લા ત્રણ દાયકાથી પતિની રાહ જોઈ રહી છે. તેઓ હાલ પતિના પેન્શનના આધારે જીવન નિર્વાહ કરે છે. પરિવારના જણાવ્યા મુજબ, પતિનો મૃતદેહ ઘરે લાવવાના પ્રયાસોની જાણ થયા બાદ તેઓ ભાવુક બની ગયા છે. તેમણે પોતાના પુત્ર ફુંતસોગ દોરજેને લખીને જણાવ્યું છે કે તેમની અંતિમ ઈચ્છા માત્ર એકવાર પોતાના પતિને જોવાની છે. ફુંતસોગ દોરજે પણ ભારતીય સેનામાં સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પરિવારને હજુ સુધી સમગ્ર અભિયાન અંગે સત્તાવાર વિગતો મળવાની બાકી છે.
'ડેથ ઝોન'માંથી મૃતદેહ બહાર લાવવો કેમ મુશ્કેલ?
દોરજે મોરુપનો મૃતદેહ જ્યાં પડ્યો છે તે વિસ્તાર એવરેસ્ટના 'ડેથ ઝોન' તરીકે ઓળખાય છે, જે સમુદ્ર સપાટીથી આશરે 8,000 મીટર (26,247 ફૂટ)થી વધુ ઊંચાઈ પર આવેલો છે. અહીં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય સ્તર કરતાં માત્ર એક તૃતીયાંશ જેટલું રહે છે, જેના કારણે લાંબા સમય સુધી માનવ શરીર માટે જીવિત રહેવું અત્યંત મુશ્કેલ બને છે. આટલી ઊંચાઈએ હેલિકોપ્ટર પહોંચી શકતા નથી અને ભારે જોખમને કારણે રેસ્ક્યૂ અભિયાન ચલાવવું પણ વિશ્વના સૌથી મુશ્કેલ ઓપરેશનોમાં ગણાય છે. આ જ કારણ છે કે એવરેસ્ટ પર મૃત્યુ પામેલા 340થી વધુ પર્વતારોહકોના મોટાભાગના મૃતદેહો આજે પણ પર્વત પર જ પડ્યા છે.
આ પણ વાંચો: કોણ છે અનિકા જમાલ? : 73 વર્ષ પછી મિસ વર્લ્ડમાં રચવા જઈ રહી છે ઇતિહાસ
ઐતિહાસિક અને ભાવનાત્મક ક્ષણ
દોરજે મોરુપના પાર્થિવ દેહની ઓળખ થયા બાદ હવે ત્રણ દાયકાથી અધૂરી રહેલી એક પરિવારની રાહ પૂરી થવા જઈ રહી છે. આ માત્ર એક રેસ્ક્યૂ મિશન નથી, પરંતુ પરિવાર માટે ભાવનાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ છે. સાથે જ આ ઘટના એવરેસ્ટ પર પર્વતારોહણ સાથે જોડાયેલા જોખમો અને બચાવ કામગીરીની મર્યાદાઓને પણ ઉજાગર કરે છે.






