સ્માર્ટફોન આજે આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે, પરંતુ તેની બેટરીને લઈને આજે પણ અનેક ગેરસમજો પ્રવર્તી રહી છે. ઘણા લોકો એવું માને છે કે ફોનની બેટરી પૂરી 0% થઈ જાય પછી જ ચાર્જિંગમાં મૂકવો જોઈએ, પરંતુ ટેક નિષ્ણાતોના મતે આ પદ્ધતિ લાંબાગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લિથિયમ આયન બેટરી ધરાવતા આધુનિક ફોનને વારંવાર સંપૂર્ણ ડિસ્ચાર્જ કરવાથી તેની હેલ્થ ઝડપથી ઘટી જાય છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફોનની બેટરીને હંમેશા 20% થી 80% ની વચ્ચે રાખવી સૌથી ઉત્તમ માનવામાં આવે છે. બેટરી લેવલ 20% થી નીચે જાય તે પહેલા જ ચાર્જિંગ શરૂ કરી દેવું જોઈએ અને 80% થી 90% સુધી ચાર્જ કરવું સુરક્ષિત છે. વારંવાર 100% સુધી ફૂલ ચાર્જ કરવાથી પણ બેટરી પર વધારાનું દબાણ આવે છે, જે તેની કાર્યક્ષમતા ઘટાડી શકે છે.
જો તમે દરરોજ બેટરીને 0% સુધી ડ્રેઇન થવા દો છો, તો તેની કેપેસિટી સમય જતાં ઓછી થઈ જાય છે. આનાથી માત્ર બેટરી બેકઅપ જ નહીં, પણ ફોનના એકંદર પરફોર્મન્સ પર પણ પ્રતિકૂળ અસર પડે છે. જોકે મહિનામાં એકવાર બેટરીને સંપૂર્ણ ખાલી કરીને ફરીથી ફૂલ ચાર્જ કરવી 'કેલિબ્રેશન' માટે યોગ્ય ગણાય છે, પરંતુ તેને રોજિંદી આદત બનાવવી જોઈએ નહીં.
બેટરીની લાઈફ વધારવા માટે હંમેશા ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ અને આખી રાત ફોનને ચાર્જિંગમાં રાખવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત જો ચાર્જિંગ દરમિયાન ફોન વધુ પડતો ગરમ (Heat) થતો જણાય, તો તેને થોડીવાર માટે ચાર્જિંગમાંથી હટાવી લેવો હિતાવહ છે. ફોનને વારંવાર થોડું-થોડું ચાર્જ કરવાથી બેટરી પર ઓછું લોડ આવે છે અને તે લાંબો સમય સાથ આપે છે.




















