પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમના દેશના પરમાણુ કાર્યક્રમ અંગે મોટું નિવેદન આપ્યું છે. શનિવારે તેમણે કહ્યું હતું કે, તેમનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ પ્રવૃત્તિઓ અને સ્વરક્ષા માટે છે. શરીફે ઇસ્લામાબાદમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓના એક જૂથને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેમણે તાજેતરમાં ભારત સાથે ચાર દિવસ સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષને પણ યાદ કર્યો હતો. શરીફે કહ્યું હતું કે, ભારતીય લશ્કરી હુમલામાં 55 પાકિસ્તાનીઓ માર્યા ગયા હતા. જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાને સંપૂર્ણ તાકાતથી જવાબ આપ્યો હતો.
પરમાણુ શસ્ત્રો અંગે શરીફે શું કહ્યું હતું?
પરમાણુ શસ્ત્રોના ઉપયોગની શક્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે શરીફે જવાબ આપ્યો, કે, "પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ ફક્ત શાંતિપૂર્ણ હેતુઓ અને રાષ્ટ્રીય સંરક્ષણ માટે છે, હુમલા માટે નહીં." ભારતે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં 6 મેના રોજ મોડી રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાનના આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું.
પહેલગામ હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર
પહેલગામની બૈસરન ખીણમાં 5 સશસ્ત્ર આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરી હતી, જેમાંથી મોટાભાગના હિન્દુ પ્રવાસીઓ હતા. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ'એ આ હુમલાની જવાબદારી લીધી. આતંકવાદીઓએ હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા, જેના કારણે ઘણા પરિવારો તૂટી ગયા. આ ઘટના બાદ દેશમાં આક્રોશ ફેલાયો હતો. ભારતે પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો, જેને ઇસ્લામાબાદે ફગાવી દીધો હતો. જવાબમાં ભારતે 6-7 મે 2025ની રાત્રે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું, જેનું નામ PM નરેન્દ્ર મોદીએ આ હુમલામાં માર્યા ગયેલા પતિઓના માનમાં આપ્યું હતું. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હવાઈ હુમલા કર્યા હતા.





