Home Gujarat School Entrance Festival 2025 26 Will Beorganized In The State From 26th To 28th June

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” : રાજ્યમાં 26 થી 28 જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-2025-26

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”
Published by: OBS Bureau
Last Updated: Jun 10, 2025, 02:30 PM IST

રાજ્યમાં શાળાએ જવાપાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ૨૩મી કડી તા. ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૫ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રિ-દિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ અને IAS, IPS, IFS સહિત વર્ગ-૧ના ૪૦૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ માટે ગાંધીનગરમાં યોજાયેલી માર્ગદર્શક બેઠકમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે તેનો ઉલ્લેખ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, નવા ઈનીસ્યેટીવ્ઝ સાથે નાનામાં નાની બાબતોને પણ મહત્તા આપવાની કાર્યક્ષમતા સાથેનું નેતૃત્વ તેમણે દેશને પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે, પ્રવેશોત્સવના ૨૨ વર્ષમાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ સુધારા સહિત ઘણું જ સારું કામ થયું છે. તેને વધુ વેગવાન બનાવીને ટીમવર્કથી કાર્યરત રહીએ અને અગાઉના પ્રવેશોત્સવના અનુભવો- ફીડબેકના આધારે સૌ સાથે મળીને વધુ પરિણામદાયી કાર્ય કરીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ૨૦૦૨-૦૩માં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવના ૨૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.
આ વર્ષે ૨૩મો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”ની થીમ સાથે રાજ્યભરની ૧૫૨૯ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ૫૧૩૪ ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા ૩૧,૮૨૪ સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાવાનો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ શાળા પ્રવેશોત્સવ અન્વયે બાલવાટિકામાં પ્રવેશપાત્રતા ધરાવતા ૮.૭૫ લાખ, ૮મા ધોરણમાંથી ૯મા ધોરણમાં પ્રવેશની પાત્રતા વાળા ૧૦.૫૦ લાખ અને ધોરણ ૧૦ થી ૧૧માં પ્રવેશ માટે પાત્રતા યોગ્ય ૬.૫૦ લાખ મળીને સમગ્રતયા ૨૫.૭૫ લાખ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવવાનું આયોજન શિક્ષણ વિભાગે કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી શાળાઓમાં વધુને વધુ બાળકો પ્રવેશ મેળવે તેવું વાતાવરણ ઊભું કરવા અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં, કન્યાઓ ધોરણ ૯ થી ૧૨નું શિક્ષણ મેળવે તે માટે નમો લક્ષ્મી અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે નમો સરસ્વતી યોજનાના લાભોથી પ્રવેશોત્સવ દરમિયાન SMCના સભ્યો અને બાળકોને માહિતગાર કરવાની પણ તેમણે તાકીદ કરી હતી.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે આ પ્રસંગે કહ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષના પ્રવેશોત્સવમાં ધોરણ ૮માંથી ૯માં અને ૧૦માંથી ૧૧માં ધોરણના પ્રવેશ પર પણ ફોકસ કર્યું છે અને AI આધારિત ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સંભવિત ડ્રોપ આઉટની યાદી બનાવીને આવા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આપણે પરીક્ષા નહીં સમીક્ષા અને પ્રેઝન્ટેશન નહીં પરફોર્મન્સનો અભિગમ અપનાવીને માધ્યમિક શિક્ષણને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે.

મુખ્ય સચિવ પંકજ જોષી એ કહ્યું કે, શાળા પ્રવેશોત્સવનો આ કાર્યક્રમ શિક્ષણ વિભાગ પૂરતો જ મર્યાદિત ન રહેતા બધા જ વિભાગોને જોડતો ‘મિશન મોડ’નો ઉત્સવ બની ગયો છે. સરકાર અને સમાજના આ સંયુક્ત કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષણને માનવતાના કાર્ય તરીકે લોકોનો સહયોગ મળતો થયો છે. તેમણે શાળા પ્રવેશોત્સવમાં શાળાની મુલાકાત દરમિયાન SMC સાથેની બેઠક દ્વારા ફીડબેક મેળવીને સોશિયલ ઓડિટની પણ હિમાયત કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now