sanchar saathi app: કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ દેશમાં વેચાતા તમામ નવા સ્માર્ટફોનમાં ‘sanchar saathi’ એપ પ્રી-ઇન્સ્ટોલ્ડ કરવી ફરજિયાત કરવામાં આવી છે, જેના પર વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષના નેતાઓએ તેને “ગોપનીયતા પર હુમલો” અને “દેશને ઉત્તર કોરિયા બનાવવાનો પ્રયાસ” ગણાવ્યો છે. આ વિવાદ વચ્ચે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરી છે કે, “જે લોકો આ એપ ઈચ્છતા નથી, તેઓ તેને સંપૂર્ણપણે ડિલીટ કરી શકે છે. કોઈ પર ફરજ પાડવામાં નથી આવી રહી.
”મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકારની જવાબદારી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે અને સંચાર સાથી એપ એ જ માટે બનાવવામાં આવી છે. તેમણે એપની સફળતાના આંકડા પણ રજૂ કર્યા.
20 કરોડથી વધુ લોકોએ વેબ પોર્ટલનો ઉપયોગ કર્યો
1.5 કરોડથી વધુ એપ ડાઉનલોડ
1.75 કરોડ નકલી સિમ કનેક્શન બંધ કરાયા
20 લાખ ચોરીના ફોન શોધી કાઢ્યા
7.5 લાખ ફોન તેમના માલિકોને પરત મળ્યા
ચોરીના ફોનને ટ્રેક કરવા માટે
સિંધિયાએ કહ્યું, “આ એપ જાસૂસી કે કૉલ મોનિટરિંગ માટે નથી. તે ફક્ત ગ્રાહકોની સુરક્ષા અને ચોરીના ફોનને ટ્રેક કરવા માટે છે. વપરાશકર્તા ઈચ્છે તો એપને સંપૂર્ણ નિષ્ક્રિય કે ડિલીટ પણ કરી શકે છે.”વિપક્ષના વિરોધ પર પ્રહાર કરતાં મંત્રીએ કહ્યું, “જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે તેઓ આવી વાતો ઉભી કરે છે. લોકોની સલામતી માટેની એપને પણ તેઓ વિવાદ બનાવી રહ્યા છે.”હવે જુઓ, આ વિવાદ આગામી દિવસોમાં કેટલો આગળ વધે છે અને શું સરકાર પોતાના નિર્ણયમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં.





















