શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે (2 એપ્રિલ) હનુમાન જયંતિના પાવન પર્વે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે.
સુવર્ણ વાઘા સાથે દાદાનો ભવ્ય શણગાર
વિશેષ દિવસે વહેલી સવારે 5:00 વાગ્યે મંગળા આરતી અને 7:00 વાગ્યે શણગાર આરતી યોજાઈ હતી. દાદાના જન્મોત્સવને યાદગાર બનાવવા માટે 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરાયેલા ‘નૂતન સુવર્ણ વાઘા’ અર્પણ કરવામાં આવ્યા છે. સોનાના આભૂષણો અને વૈભવી વસ્ત્રોમાં સજ્જ દાદાના દર્શન કરીને ભક્તોમાં ભારે ઉમંગ અને આનંદ જોવા મળી રહ્યો છે.
બલૂન વર્ષા અને 151 કિલોની કેક
ઉજવણી દરમિયાન ભક્તિ સાથે આધુનિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આકાશમાંથી 1 લાખથી વધુ બલૂન છોડીને દાદાના જન્મોત્સવને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. સાથે જ 151 કિલોની વિશાળ કેક કાપીને ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસર ડી.જે.ના તાલ અને હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઉઠ્યું હતું.
દિવસભરના મુખ્ય કાર્યક્રમો
સવારે 7:00 વાગ્યાથી વિશ્વ શાંતિ માટે 1000થી વધુ ભક્તોની હાજરીમાં વૈદિક મારુતિ યજ્ઞ શરૂ થયો હતો. બપોરે 11:00 વાગ્યે દાદાને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. સાંજે 7:00 વાગ્યે નાસિક ઢોલ-તાસા અને આતશબાજી સાથે મહા સંધ્યા આરતી યોજાશે.
ભક્તો માટે ખાસ વ્યવસ્થા
મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભોજનશાળા, ગેસ્ટ હાઉસ અને પાર્કિંગ સહિતની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન મળી રહે તે માટે સ્વયંસેવકો અને પોલીસ તંત્ર સતત તૈનાત છે.






