વલસાડ શહેરમાં જૂની અંગત અદાવતને કારણે રિક્ષાચાલક પર ચપ્પુ વડે જીવલેણ હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના સ્ટેશન વિસ્તાર પાસે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રિક્ષાચાલકને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
“તને આજે જાનથી મારી નાખીશ”
મળતી માહિતી મુજબ, શાહિદખાન નઝરખાન પઠાણ (ઉંમર 37 વર્ષ) સ્ટેશન ડેપો વિસ્તારમાંથી પોતાની રિક્ષા લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન અજય પ્રજાપતિ નામના શખ્સે તેમને રસ્તામાં અટકાવ્યા હતા. જૂની અદાવત રાખીને અજયે અચાનક શાહિદખાનનું ગળું દબાવ્યું હતું અને “તને આજે જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. પોતાનો જીવ બચાવવા માટે શાહિદખાન રિક્ષામાંથી નીચે ઉતર્યા ત્યારે આરોપી વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ચપ્પુ કાઢીને શાહિદખાનની છાતી અને પાંસળીના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.
અગાઉ પણ બંને વચ્ચે વિવાદ થયો હતો
ઘટનાના પગલે શાહિદખાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલના બિછાનેથી શાહિદખાને જણાવ્યું હતું કે હુમલાખોર અજય પ્રજાપતિ તેની પત્ની બાબતે ખોટો વહેમ રાખતો હતો. આ કારણે તે અવારનવાર ગાળો આપતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. અગાઉ પણ બંને વચ્ચે વિવાદ થયો હતો, જે તે સમયે પોલીસની હાજરીમાં સમાધાનથી પતી ગયો હતો, પરંતુ અજયે આ જૂની અદાવત મનમાં રાખી અચાનક હુમલો કર્યો હોવાનું શાહિદખાને જણાવ્યું હતું.
પોલીસે ગુનો નોધ્યો
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ આરોપીની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




















