ગુજરાતમાં મે મહિનાની કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પહેલા જ વાતાવરણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અમરેલી જિલ્લામાં અચાનક હવામાન પલટાયું છે અને સાવરકુંડલાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. એક તરફ લોકો અસહ્ય તાપ અને બફારાથી પરેશાન હતા, ત્યારે બીજી તરફ અચાનક આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
સાવરકુંડલાના આ ગામોમાં વરસાદી માહોલ
સાવરકુંડલા તાલુકાના જાબાળ, બાઢડા અને મોટા ઝીંઝુડા જેવા ગામોમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત ધજડી, સાકરપરા અને અભરામપરા સહિતના આસપાસના ગામડાઓમાં પણ વરસાદી છાંટા પડતા રસ્તાઓ ભીના થયા હતા. ઉનાળાના મધ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાતા સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. જોકે, આ કમોસમી વરસાદને કારણે આંબાના પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગની મહત્વની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહી શકે છે. હવામાન નિષ્ણાતો અનુસાર, નોર્થ ઈસ્ટ રાજસ્થાન તરફથી એક ચક્રવાતી સિસ્ટમ (Cyclonic Circulation) ગુજરાત તરફ આગળ વધી રહી છે.
30 માર્ચે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યારે 2 અને 3 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા છે. આ દરમિયાન વરસાદ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
તાપમાનમાં આવશે ઘટાડો
આ વરસાદી સિસ્ટમની અસરને કારણે આગામી ત્રણથી ચાર દિવસમાં ગરમીમાં રાહત મળશે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યાં તાપમાન 36 થી 37 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની અસર વધુ જોવા મળી શકે છે. એક તરફ ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળશે, તો બીજી તરફ માવઠાને કારણે ખેતી પાકો પર સંકટના વાદળો ઘેરાયા છે





