Bhupendra Patel : ગુજરાતના ખેડૂતો અને ગણોતીયાઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વનો અને રાહતદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણોતીયાઓ દ્વારા જમીન ખરીદવાની કિંમત ભરપાઈ કરવાની મુદતમાં એક વર્ષનો વધારો કર્યો છે. આ નિર્ણયને કારણે જે ખેડૂતો અગાઉ સમયસર નાણાં ભરી શક્યા ન હતા, તેમને હવે પોતાની જમીનના કાયદેસરના માલિક બનવાની વધુ એક તક મળશે.
નિયમની સમજ
ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 ની કલમ-32 G હેઠળ ખેડૂતો અને ગણોતીયાઓ માટે મામલતદાર અને કૃષિ પંચ દ્વારા જમીનની ખરીદ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. આ નક્કી કરેલી કિંમત કાયદાકીય સમય મર્યાદામાં સરકારી તિજોરીમાં જમા કરાવવી અનિવાર્ય છે.
આ પણ ખાસ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો માટે સુવર્ણ નિર્ણય : વારસાઈ જમીનના વ્યવહારોમાં મોટી છૂટ, જાણો સંપૂર્ણ માહિતી
સમસ્યાનું નિવારણ
ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે, અનેક ખેડૂતો અને ગણોતીયાઓ અજ્ઞાનતા અથવા માહિતીના અભાવે આ ખરીદ કિંમત સમયસર ભરી શક્યા નથી. જો આ રકમ ન ભરાય તો તેમને જમીનના કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના કારણે ભવિષ્યમાં જમીન વેચવી હોય અથવા બિન-ખેતી (NA) કરાવી હોય ત્યારે ખેડૂતોને ઘણી કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સરકારનો નવો નિર્ણય
ખેડૂતો દ્વારા કરવામાં આવેલી વારંવારની રજૂઆતો અને ડિસેમ્બર 2025 સુધી બાકી રહેલા કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવીય અભિગમ અપનાવ્યો છે. સરકારે હવે આ મુદત 31 ડિસેમ્બર 2025 થી વધારીને 31 ડિસેમ્બર 2026 સુધી કરી દીધી છે, જેથી બાકી રહેલા તમામ ખેડૂતો આ સુવિધાનો લાભ લઈ શકે.
ખેડૂતોને થતાં ફાયદા
આ મુદત વધારાને કારણે રાજ્યના હજારો ગણોતીયાઓ હવે કાયદેસરની ખરીદ કિંમત ભરીને જમીનનો માલિકી હક મેળવી શકશે. આ નિર્ણયથી ખેડૂતોને જમીન સંબંધિત પડતર પ્રશ્નો ઉકેલવામાં મદદ મળશે અને તેઓ કોઈપણ અડચણ વગર ખેતી કે અન્ય જમીન વ્યવહાર કરી શકશે.





