Home Gujarat Vadodara Raniya Dudh Mandali Row Ketan Inamdar Letter To Agriculture Minister Pashupalak Demand

400થી વધુ પશુપાલકો મુશ્કેલીમાં : રાણીયા દૂધ મંડળી મુદ્દે કેતન ઈનામદારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને લખ્યો પત્ર

કેતન ઈનામદાર, જીતુ વાઘાણી અને પત્રની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 10, 2026, 06:05 AM IST

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની રાણીયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાનું બંધ થતાં 400થી વધુ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે હવે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર એક્શનમાં આવ્યા છે. તેમણે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સાથે જ અસરગ્રસ્ત પશુપાલકોના હિતમાં ત્વરિત નિર્ણય લેવા સરકારને અપીલ કરી છે. ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પત્રમાં જણાવ્યું છે કે રાણીયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાનું બંધ થતાં નવા શિહોરા, જૂના શિહોરા, પીપળીયા અને રાયપુરા સહિતના ગામોના 400થી વધુ પશુપાલકોની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે. દૂધના વેચાણમાં અનિશ્ચિતતા સર્જાતા પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ચાંદીપુરા વાયરસની દહેશત : 5ના મોત બાદ આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર

અમૂલ સમકક્ષ ભાવ અને લાભની માંગ

ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું છે કે જો બરોડા ડેરી દ્વારા અમૂલ સમકક્ષ દૂધનો ભાવ, બોનસ અને પશુદાણ સહિતના લાભ આપવામાં આવે તો પશુપાલકો બરોડા ડેરીમાં દૂધ આપવા તૈયાર છે. પરંતુ જો સમકક્ષ લાભ ઉપલબ્ધ ન કરાવી શકાય તો પશુપાલકોને અમૂલમાં દૂધ ભરવાની છૂટ આપવામાં આવે. તેમણે સરકારને વિનંતી કરી છે કે પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને કોઈપણ નિર્ણય લેવામાં આવે, જેથી તેમને આર્થિક નુકસાન ન સહન કરવું પડે.

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસ શું છે? કેમ માનવામાં આવે છે જીવલેણ? : જાણો લક્ષણો, ફેલાવાના કારણો અને બચાવના ઉપાયો

વચગાળાની વ્યવસ્થા અને સંયુક્ત બેઠકની માંગ

ધારાસભ્ય કેતન ઇનામદારે પત્રમાં અસરગ્રસ્ત પશુપાલકો માટે વચગાળાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરી છે. જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી પશુપાલકોનું દૂધ બગડે નહીં અને તેમની આવક ચાલુ રહે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત બરોડા ડેરી, અમૂલ અને પશુપાલકોના પ્રતિનિધિઓ વચ્ચે સરકારની હાજરીમાં સંયુક્ત બેઠક બોલાવીને સર્વસંમતિથી ઉકેલ લાવવાની પણ ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસનો કહેર : હિંમતનગર સિવિલમાં 11 દિવસમાં 3 બાળકનાં મોત, ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હોસ્પિટલની લીઘી મુલાકાત

સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી અપીલ

ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું છે કે પશુપાલકોની રોજીરોટી સાથે જોડાયેલા આ પ્રશ્નનો લાંબો વિલંબ યોગ્ય નથી. રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ, જેથી પશુપાલકોને નુકસાન ન થાય અને દૂધ સંગ્રહની પ્રક્રિયા ફરીથી સામાન્ય બની શકે. હાલ પશુપાલકો સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે અને આગામી દિવસોમાં સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now