ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે છેડાયેલા જંગની ગરમી હવે અહીં પણ અનુભવાઈ રહી છે. આ દરમિયાન ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. કેરળમાં આયોજિત ‘સૈનિક સન્માન સંમેલન’ ના મંચ પરથી રાજનાથ સિંહે કહ્યું કે, જો પાકિસ્તાને વર્તમાન આંતરરાષ્ટ્રીય કટોકટીનો ફાયદો ઉઠાવીને ભારતમાં કોઈપણ પ્રકારનું દુસાહસ કર્યું, તો તેણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
’22 મિનિટનો ખોફ યાદ રાખે પાકિસ્તાન’
રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને તેની ઓકાત યાદ અપાવી હતી. તેમણે કહ્યું, ‘દુનિયાએ જોયું કે કેવી રીતે ભારતીય જાંબાઝોએ માત્ર ૨૨ મિનિટની અંદર પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું.’ ઉલ્લેખનીય છે કે, ૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને ૯ આતંકી કેમ્પ નેસ્તનાબૂદ કરી દીધા હતા.
રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ હજુ ખતમ નથી થયું અને ભારતની પ્રતિક્રિયા પહેલા કરતા વધુ ખતરનાક હશે. રક્ષામંત્રીએ સાથે જ ઉમેર્યું, ‘આજનો ભારત આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ રાખે છે. તે આતંકવાદ વિરુદ્ધ સરહદની આ પાર અને પેલે પાર એમ બંને તરફ કાર્યવાહી કરે છે. પછી ભલે તે ‘ઉરી એટેક’ પછીની સર્જિકલ સ્ટ્રાઈક હોય, ‘પુલવામા’ પછીની એર સ્ટ્રાઈક હોય કે પછી તાજેતરમાં ‘પહેલગામ’ની ઘટના બાદ કરવામાં આવેલું ‘ઓપરેશન સિંદૂર’ હોય, અમે આતંકવાદ પર જબરદસ્ત પ્રહાર કર્યો છે.’
પાકિસ્તાની ‘ફોલ્સ ફ્લેગ’ ચાલ
રક્ષામંત્રીની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાની મીડિયા સતત એવો પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે કે ભારત, ઈસ્લામાબાદ વિરુદ્ધ કોઈ ‘ફોલ્સ ફ્લેગ’ ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ એ દાવો કર્યો હતો કે ભારત દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે આવું કરી શકે છે. જોકે, ભારતીય સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન પોતે પોતાની આંતરિક નબળાઈઓ અને અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા ‘ખુલ્લા જંગ’ પરથી ધ્યાન હટાવવા માટે આવા હથકંડા અપનાવી રહ્યું છે.
સાઉદી અને ઈરાન વચ્ચે ફસાયેલું પાકિસ્તાન
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે ‘નાટો’ની તર્જ પર એક સંરક્ષણ કરાર થયો છે, જે અંતર્ગત સાઉદી પર હુમલો થાય તો પાકિસ્તાને તેની મદદ કરવી પડશે. જો સાઉદી અરેબિયા ઈરાન સામે યુદ્ધમાં ઉતરે છે, તો પાકિસ્તાન ઈચ્છવા છતાં પણ તેનાથી બચી શકશે નહીં. પાકિસ્તાન માટે સૌથી મોટો પડકાર એ છે કે તે શિયા-બહુમતી ધરાવતા દેશ (ઈરાન) વિરુદ્ધ ઈઝરાયેલ કે અમેરિકાના પક્ષમાં ઊભેલું દેખાવા માંગતું નથી, કારણ કે તેનાથી તેના પોતાના દેશની ૨૦% શિયા વસ્તી ભડકી શકે છે.





