નવી દિલ્હી: ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભવિષ્યના યુદ્ધોના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખીને મજબૂત સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) સ્ટ્રેટેજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવમાં તેમણે જણાવ્યું કે આધુનિક યુદ્ધો માત્ર અત્યાધુનિક હથિયારો કે મિસાઈલોથી જ જીતાતા નથી, પરંતુ રસ્તા, ટનલ, એરફિલ્ડ અને બંદરો જેવા મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે દેશની સુરક્ષા માટે સરહદી વિસ્તારોમાં ઝડપી અને ગુણવત્તાયુક્ત વિકાસ હવે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગયો છે.
રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય સેનામાં આધુનિક હથિયારો અને ટેકનોલોજીનો સતત સમાવેશ થઈ રહ્યો છે, પરંતુ જો સૈનિકો અને સૈન્ય સામગ્રીને સમયસર સરહદ સુધી પહોંચાડવા માટે યોગ્ય માર્ગવ્યવસ્થા ન હોય તો આધુનિક હથિયારોનું મહત્વ ઘટી જાય છે. તેથી મજબૂત માર્ગો, ટનલ અને અન્ય વ્યૂહાત્મક સુવિધાઓ ભવિષ્યના યુદ્ધમાં સફળતા માટે એટલી જ જરૂરી છે જેટલી આધુનિક સૈન્ય ક્ષમતા.
BROની કામગીરીની કરી પ્રશંસા
સંરક્ષણ પ્રધાને છેલ્લા કેટલાક વર્ષોમાં BRO દ્વારા હાથ ધરાયેલી ઐતિહાસિક કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું કે આ સંસ્થાએ માત્ર રોડ બનાવતી એજન્સી તરીકે નહીં, પરંતુ વિશ્વની અગ્રણી વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમણે ખાસ કરીને અટલ ટનલ (રોહતાંગ), સેલા ટનલ અને ઉમલિંગ લા રોડ જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે દુનિયાના સૌથી કઠિન અને ઊંચાઈવાળા વિસ્તારોમાં BROએ જે ઝડપ અને ગુણવત્તા સાથે રસ્તા અને ટનલનું નિર્માણ કર્યું છે તે માનવ સંકલ્પ અને આધુનિક ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે. હાઈ-એલ્ટિટ્યુડ મશીનરી, મોડ્યુલર બ્રિજ અને પ્રીકાસ્ટ ટેક્નોલોજીના ઉપયોગથી બાંધકામની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે.
'સીમા પરનો પ્રથમ મોરચો ઘણી વખત રસ્તો હોય છે'
રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું કે ઘણી વખત યુદ્ધનો પ્રથમ મોરચો સરહદ પર નહીં, પરંતુ તે રસ્તો હોય છે જે આપણા જવાનોને આગળની ચોકી સુધી પહોંચાડે છે. તેથી જે વ્યક્તિ રસ્તો બનાવે છે તે પણ દેશની સુરક્ષામાં સરહદ પર ઉભેલા જવાન જેટલો જ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે ઉમેર્યું કે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર સૈન્ય માટે જ નહીં, પરંતુ આપત્તિ વ્યવસ્થાપન, ઝડપી રાહત કામગીરી અને સરહદી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પણ અત્યંત જરૂરી છે.
બદલાતા યુદ્ધમાં ટેકનોલોજી સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ જરૂરી
કોન્ક્લેવની થીમ 'ક્ષમતા વધારવા માટે ટેકનોલોજી, નવીનતા અને શ્રેષ્ઠ અમલીકરણ" હતી. આ પ્રસંગે રાજનાથ સિંહે જણાવ્યું કે ભવિષ્યના યુદ્ધોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન, સાયબર ટેકનોલોજી અને પ્રિસિઝન વેપન્સ મહત્વપૂર્ણ બનશે, પરંતુ આ તમામ ક્ષમતાઓનો અસરકારક ઉપયોગ કરવા માટે મજબૂત માર્ગવ્યવસ્થા અને લોજિસ્ટિક્સ નેટવર્ક અનિવાર્ય રહેશે. તેમણે કહ્યું કે ભારત હવે માત્ર પરંપરાગત સુરક્ષા નહીં પરંતુ લાંબા ગાળાની વ્યૂહાત્મક તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
આ પણ વાંચો: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો! : SIT રિપોર્ટમાં સામે આવ્યું સૌથી મોટું કારણ






