Home National Rajnath Singh Bro Strategic Infrastructure Future Warfare India

'ભવિષ્યના યુદ્ધમાં રસ્તા પણ બનશે હથિયાર' : BROને લઈને રાજનાથ સિંહનું મોટું નિવેદન

રાજનાથ સિંહની છબી
Image Credit: x.com Rajnath Singh
Published by: Niraj Chokshi
Last Updated: Jul 16, 2026, 11:12 AM IST

નવી દિલ્હી: ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભવિષ્યના યુદ્ધોના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખીને મજબૂત સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) સ્ટ્રેટેજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવમાં તેમણે જણાવ્યું કે આધુનિક યુદ્ધો માત્ર અત્યાધુનિક હથિયારો કે મિસાઈલોથી જ જીતાતા નથી, પરંતુ રસ્તા, ટનલ, એરફિલ્ડ અને બંદરો જેવા મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે દેશની સુરક્ષા માટે સરહદી વિસ્તારોમાં ઝડપી અને ગુણવત્તાયુક્ત વિકાસ હવે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગયો છે.

રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય સેનામાં આધુનિક હથિયારો અને ટેકનોલોજીનો સતત સમાવેશ થઈ રહ્યો છે, પરંતુ જો સૈનિકો અને સૈન્ય સામગ્રીને સમયસર સરહદ સુધી પહોંચાડવા માટે યોગ્ય માર્ગવ્યવસ્થા ન હોય તો આધુનિક હથિયારોનું મહત્વ ઘટી જાય છે. તેથી મજબૂત માર્ગો, ટનલ અને અન્ય વ્યૂહાત્મક સુવિધાઓ ભવિષ્યના યુદ્ધમાં સફળતા માટે એટલી જ જરૂરી છે જેટલી આધુનિક સૈન્ય ક્ષમતા.

BROની કામગીરીની કરી પ્રશંસા

સંરક્ષણ પ્રધાને છેલ્લા કેટલાક વર્ષોમાં BRO દ્વારા હાથ ધરાયેલી ઐતિહાસિક કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું કે આ સંસ્થાએ માત્ર રોડ બનાવતી એજન્સી તરીકે નહીં, પરંતુ વિશ્વની અગ્રણી વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમણે ખાસ કરીને અટલ ટનલ (રોહતાંગ), સેલા ટનલ અને ઉમલિંગ લા રોડ જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે દુનિયાના સૌથી કઠિન અને ઊંચાઈવાળા વિસ્તારોમાં BROએ જે ઝડપ અને ગુણવત્તા સાથે રસ્તા અને ટનલનું નિર્માણ કર્યું છે તે માનવ સંકલ્પ અને આધુનિક ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે. હાઈ-એલ્ટિટ્યુડ મશીનરી, મોડ્યુલર બ્રિજ અને પ્રીકાસ્ટ ટેક્નોલોજીના ઉપયોગથી બાંધકામની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ વાંચો: ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક : અમદાવાદમાં મળશે 30 દિવસની મફત નિવાસી તાલીમ

'સીમા પરનો પ્રથમ મોરચો ઘણી વખત રસ્તો હોય છે'

રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું કે ઘણી વખત યુદ્ધનો પ્રથમ મોરચો સરહદ પર નહીં, પરંતુ તે રસ્તો હોય છે જે આપણા જવાનોને આગળની ચોકી સુધી પહોંચાડે છે. તેથી જે વ્યક્તિ રસ્તો બનાવે છે તે પણ દેશની સુરક્ષામાં સરહદ પર ઉભેલા જવાન જેટલો જ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે ઉમેર્યું કે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર સૈન્ય માટે જ નહીં, પરંતુ આપત્તિ વ્યવસ્થાપન, ઝડપી રાહત કામગીરી અને સરહદી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પણ અત્યંત જરૂરી છે.

બદલાતા યુદ્ધમાં ટેકનોલોજી સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ જરૂરી

કોન્ક્લેવની થીમ 'ક્ષમતા વધારવા માટે ટેકનોલોજી, નવીનતા અને શ્રેષ્ઠ અમલીકરણ" હતી. આ પ્રસંગે રાજનાથ સિંહે જણાવ્યું કે ભવિષ્યના યુદ્ધોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન, સાયબર ટેકનોલોજી અને પ્રિસિઝન વેપન્સ મહત્વપૂર્ણ બનશે, પરંતુ આ તમામ ક્ષમતાઓનો અસરકારક ઉપયોગ કરવા માટે મજબૂત માર્ગવ્યવસ્થા અને લોજિસ્ટિક્સ નેટવર્ક અનિવાર્ય રહેશે. તેમણે કહ્યું કે ભારત હવે માત્ર પરંપરાગત સુરક્ષા નહીં પરંતુ લાંબા ગાળાની વ્યૂહાત્મક તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

આ પણ વાંચો: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો! : SIT રિપોર્ટમાં સામે આવ્યું સૌથી મોટું કારણ

સરહદી ગામોના વિકાસ પર સરકારનું ધ્યાન

રાજનાથ સિંહે કહ્યું કે સ્વતંત્રતા પછી ઘણા વર્ષો સુધી દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે આ સ્થિતિમાં મોટો બદલાવ લાવ્યો છે. તેમણે જણાવ્યું કે સરકારનું લક્ષ્ય છે કે સરહદી વિસ્તારોમાં રહેતો કોઈપણ નાગરિક મુખ્ય પ્રવાહથી અલગ ન અનુભવાય. તેમણે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જે ગામોને પહેલાં દેશના "છેલ્લા ગામ" તરીકે ઓળખવામાં આવતા હતા, તે ગામોને હવે "દેશના પ્રથમ ગામ" તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ પહેલ હેઠળ માર્ગ, વીજળી, સંચાર, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

વિકસિત ભારત માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી

સંરક્ષણ પ્રધાને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મજબૂત માર્ગો, ટનલ, પુલ અને સરહદી વિકાસ દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે અંતમાં કહ્યું કે આજે દેશ જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યો છે, તે માત્ર વર્તમાન જરૂરિયાતો માટે નહીં પરંતુ આગામી એકથી બે સદી સુધી ભારતના વિકાસ અને સુરક્ષાની દિશા નક્કી કરશે. મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો દેશ જ સુરક્ષિત, સમૃદ્ધ અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now