રંગીલા રાજકોટને હવે ચૂંટણીનો રંગ લાગ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એટલે તમામ પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. આવા સમય આપ પાર્ટીનાં એક ઉમેદવારનો અનોખી રીતે પ્રચાર સામે આવ્યો છે. ચૂંટણી આવે એટલે સામાન્ય રીતે પોસ્ટર, રેલી અને સભાઓ જોવા મળે છે પરંતુ રાજકોટમાં એક ઉમેદવારે પરંપરાગત પ્રચારથી અલગ રસ્તો અપનાવી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સેનિટાઈઝર સાથે ટ્રાફિક વચ્ચે ઉભા રહીને ટ્રાફિક કર્યો હળવો.
ઉમેદવારને મળી ‘સેનિટાઈઝર મેન’ તરીકે ઓળખ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે આવા સમયમાં વોર્ડ નં. 2માંથી ઉભેલા આપ પાર્ટીનાં ઉમેદવાર ચિંતન ભરતભાઈ દવે પોતાનાં અનોખા પ્રચારના કારણે ખાસ ચર્ચામાં આવ્યા છે.
ચિંતન દવેએ ‘સેનિટાઈઝર મેન’ તરીકે ઓળખ મેળવી છે. તેઓ સેનિટાઈઝર મશીન સાથે શહેરના વ્યસ્ત ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહી લોકો વચ્ચે સેવા આપી રહ્યાં છે. ખાસ કરીને ઉનાળામાં, જ્યારે લોકો ગરમીથી પરેશાન હોય છે, ત્યારે તેઓ વાહનચાલકો પર ગુલાબજળનું પાણી છાંટી તેમને રાહત પહોંચાડે છે.
આ સાથે તેઓ પોતાની ઉમેદવારી અને પક્ષની નીતિઓ વિશે લોકો સાથે સીધી વાતચીત પણ કરે છે. આ પ્રચાર પદ્ધતિએ પરંપરાગત રાજકીય અભિગમથી અલગ છાપ ઊભી કરી છે.
ટ્રાફિક સેવા સાથે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ
ચિંતન દવે માત્ર પ્રચાર માટે જ નહીં પરંતુ સેવા ભાવના સાથે ટ્રાફિક વચ્ચે કાર્ય કરી રહ્યાં છે. ટ્રાફિક જામ દરમિયાન તેઓ વાહનચાલકોને શાંતિપૂર્ણ રીતે માર્ગદર્શન આપે છે અને સાથે સાથે ઠંડક માટે ગુલાબજળ છાંટીને રાહત આપે છે.
આ અનોખી રીતથી તેઓ મતદાતાઓ સાથે સીધો સંપર્ક સાધી રહ્યાં છે. કોઈ મોટી સભા કે મંચ વગર સામાન્ય લોકો વચ્ચે રહીને પોતાની ઓળખ બનાવવાનો આ પ્રયાસ રાજકીય રીતે અસરકારક બની શકે છે.
ગરમીમાં માનવિય અભિગમનો સંદેશ
રાજકોટમાં હાલમાં ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા લોકો માટે થોડી રાહત પણ મહત્વપૂર્ણ બની જાય છે. ચિંતન દવેએ ગુલાબજળનું પાણી છાંટવાની પહેલ માત્ર પ્રચાર નથી, પરંતુ એક માનવિય અભિગમ પણ દર્શાવે છે.
આ પણ વાંચો: "એક પણ વિધર્મીને ઘૂસવા નહીં દઈએ" : ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા અલ્પેશ લીંબચિયાના વિવાદાસ્પદ સૂર
આ પ્રકારની સેવા લોકોને સીધી રીતે સ્પર્શે છે અને ઉમેદવાર પ્રત્યે સકારાત્મક છાપ ઉભી કરે છે. રાજકારણમાં માનવિય મૂલ્યો અને સેવા ભાવના કેટલી મહત્વપૂર્ણ છે તે પણ આ ઘટનાથી સ્પષ્ટ થાય છે.
ચૂંટણીમાં જીત માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. પક્ષની લોકપ્રિયતા, ઉમેદવારની છબી, અને પ્રચારની અસર. ચિંતન દવેનો આ અનોખો પ્રચાર ચોક્કસપણે તેમને ચર્ચામાં લાવ્યો છે પરંતુ, આ પ્રચાર મતદાનમાં કેટલો ફેરફાર લાવે છે તે પરિણામો બાદ જ સ્પષ્ટ થશે.





