મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરે બે દિવસ અગાઉ મીરા ભાયંદર ખાતે યોજાયેલી એક જાહેર સભામાં સરદાર પટેલ પર આપેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતના નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજકીય ઉદ્દેશથી પ્રેરિત નિવેદન કરવું યોગ્ય નથી :મંત્રી ઋષિકેશ પટેલે
ગુજરાત ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “સરદાર પટેલ હોય કે મહાત્મા ગાંધી, બંનેએ દેશ માટે ત્યાગ અને સેવા કરી છે, આવા રાષ્ટ્રીય નેતાઓ અંગે રાજકીય ઉદ્દેશથી પ્રેરિત નિવેદન કરવું યોગ્ય નથી. દરેક રાષ્ટ્રીય વિભૂતિએ દેશ માટે બલિદાન આપ્યું છે, જેનાથી કોઈ ઈન્કાર ન કરી શકે.”
ટિપ્પ્ણી બદલ રાષ્ટ્રની માફી માગવી જોઈએ :અલ્પેશ કથીરિયા
રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલ પર કરેલી ટીપ્પણીને લઈ અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, હું તેમના નિવેદનને ખૂબ મજબૂતાઈથી વખોડું છું. રાજ ઠાકરે એ આવી ટિપ્પ્ણી બદલ રાષ્ટ્રની માફી માગવી જોઈએ. સાથે જ ભવિષ્યમાં આવી રીતે મહાપુરુષનું અપમાન ન થાય તેવું ધ્યાન રાખવું જોઈએ. રાજ ઠાકરે ગુજરાત અને સરદારનું અપમાન કરી રહ્યા છે. સરકાર સામે વિરોધ હોઈ શકે પરંતુ, સરદાર પટેલ કે મોરારજી દેસાઈ વિશે આ પ્રકારનું વિવાદિત નિવેદન આપવું જોઈએ નહીં''
''...જાહેરમાં વિરોધ કરીશું''
એસપીજીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે, ''રાજ ઠાકરેને મરાઠી સિવાય કોઈ ગમતા જ નથી. ઠાકરે વારંવાર ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે પરંતુ, હવે સરદાર પટેલનું અપમાન રાજ ઠાકરેને ભારે પડશે. ગુજરાતમાં કોઈ કાર્યક્રમ હશે તો જાહેરમાં વિરોધ કરીશું. રાજ ઠાકરેની માનસિકતા હંમેશા ગુજરાતીઓ વિરુદ્ધની રહી છે''






