ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે આગામી દિવસોને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે – એક વરસાદી ટ્રફ લાઇન રાજ્યમાંથી પસાર થઈ રહી છે અને બીજી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ ગુજરાતની આસપાસ સક્રિય થઈ છે. આના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
રાજ્યમાં ક્યાં વિસ્તારમાં રહેશે વરસાદ?
હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે નીચેના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે:
સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર
દક્ષિણ ગુજરાત: નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ
મધ્ય અને ઉત્તર ગુજરાત: નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા
આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાંથી મધ્યમ વરસાદની શક્યતા હોવાના કારણે લોકોને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે.
દરિયાકાંઠે ચેતવણી: માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે ખાસ કરીને 30 મે થી આગામી 5 દિવસ માટે દરિયાકાંઠાના વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં દરિયાઈ પવનની ઝડપમાં વધારો થવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ ઉપરાંત ભાવનગર, પાલનપુર, પાટણ, સિદ્ધપુર, મહીસાગર, ગાંધીનગર અને પંચમહાલ (ગોધરા) સહિતના વિસ્તારોમાં પણ મોડી રાતે ભારે વરસાદ પડ્યો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.





