લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ CBSE બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનને લઈને ઊભા થયેલા વિવાદ મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે વધુ એક સંસ્થાને “ધાંધલીનું પ્રતિક” બનાવી દીધી છે અને વિદ્યાર્થીઓની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે દાયકાઓમાં પહેલીવાર CBSE બોર્ડ પરીક્ષાની વિશ્વસનીયતા પર આટલા ગંભીર સવાલો ઉભા થયા છે. તેમના જણાવ્યા મુજબ, આશરે 18.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને છેલ્લા એક અઠવાડિયાથી ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM), ખોટા મૂલ્યાંકન અને ટેક્નિકલ ગડબડીઓ અંગે વિદ્યાર્થીઓની ફરિયાદો સામે આવી રહી છે.
તેમણે દાવો કર્યો કે એક 17 વર્ષીય વિદ્યાર્થી, જેણે પોતાની કોપી ખોટી રીતે ચકાસાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો, તેણે ન્યાયની આશામાં સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો, પરંતુ મદદ મળવાને બદલે તેને સોશિયલ મીડિયા પર દેશદ્રોહી, જ્યોર્જ સોરોસનો એજન્ટ અને “ડીપ સ્ટેટ”નો ભાગ કહીને નિશાન બનાવવામાં આવ્યો.
“યુવાનોના સવાલોથી સરકાર ડરે છે”
રાહુલ ગાંધીએ વધુમાં આરોપ લગાવ્યો કે સરકાર યુવાનો અને Gen Z પેઢીથી ડરે છે, કારણ કે તેઓ સવાલ પૂછે છે. તેમણે કહ્યું કે, “જે સવાલ પૂછે છે, તેને આ સરકાર બદનામ કરે છે, ડરાવે છે અને દબાવવાનો પ્રયાસ કરે છે.”
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે CBSE ની 12મી ધોરણની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ પુનર્મૂલ્યાંકન પ્રક્રિયા અંગે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગંભીર ફરિયાદો નોંધાવી છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે બોર્ડ દ્વારા આપવામાં આવતી સ્કેન કોપીઓ ખૂબ ધૂંધળી છે, જેના કારણે જવાબો સ્પષ્ટ રીતે વાંચી શકાતા નથી.
સાથે જ ઘણા વિદ્યાર્થીઓએ ફી ભર્યા બાદ પણ પેમેન્ટ કન્ફર્મેશન ન મળવું, પોર્ટલ પર ટેક્નિકલ સમસ્યાઓ અને વારંવાર “સાઇટ અન્ડર મેન્ટેનન્સ”નો મેસેજ આવવાની ફરિયાદ કરી છે. જેના કારણે પુનર્મૂલ્યાંકન માટે અરજી કરવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો થયો છે.
આ પણ વાંચો: "લોકશાહીનો વિજય, ધાકધમકી આપનારનો પરાજય" : ફાલ્ટા વિધાનસભા જીત બાદ પ્રધાનમંત્રી મોદીની મોટી પ્રતિક્રિયા, કાર્યકરોને પાઠવ્યા અભિનંદન
CBSEએ આપી સ્પષ્ટતા
આ વિવાદ વધતા CBSEએ સ્પષ્ટતા આપી છે કે વેબસાઇટ પર ભારે ટ્રાફિકના કારણે પેમેન્ટ સ્ટેટસ અપડેટ થવામાં વિલંબ થઈ રહ્યો છે. બોર્ડે વિદ્યાર્થીઓને વારંવાર અરજી ન કરવાની સલાહ આપી છે.
CBSE એ સાથે જ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી છે. હવે વિદ્યાર્થીઓ માત્ર ₹100ની ફીમાં પોતાની આન્સર શીટ જોઈ શકશે, જ્યારે અગાઉ આ માટે ₹700 ફી લેવામાં આવતી હતી. કોઈ ચોક્કસ પ્રશ્નના પુનઃમૂલ્યાંકન માટે ₹25 ફી નક્કી કરવામાં આવી છે.
બોર્ડના જણાવ્યા મુજબ આ પગલું પારદર્શિતા વધારવા અને વિદ્યાર્થીઓને વધુ સુવિધા આપવા માટે લેવામાં આવ્યું છે.
OSM સિસ્ટમ પર CBSEનો બચાવ
CBSE અધ્યક્ષ રાહુલ સિંહ અને શાળા શિક્ષણ સચિવ સંજય કુમારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ ઝડપી, સુરક્ષિત અને પારદર્શક બનાવે છે. તેમના કહેવા મુજબ, દેશની અનેક મોટી પરીક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓ પહેલેથી જ આ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે ટેક્નિકલ સમસ્યાઓ તાત્કાલિક સ્વરૂપની છે અને વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને તમામ ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવશે.
શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ચર્ચા
આ સમગ્ર વિવાદે ફરી એકવાર દેશની પરીક્ષા અને મૂલ્યાંકન વ્યવસ્થાની વિશ્વસનીયતા અંગે ચર્ચા શરૂ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ સ્પર્ધાત્મક અને બોર્ડ પરીક્ષાઓમાં ટેક્નિકલ ગડબડીઓ, પેપર લીક અને મૂલ્યાંકન વિવાદો સામે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અસંતોષ વધી રહ્યો છે.






