બગદાણાના સેવક પર થયેલા હુમલા મામલે હવે રાજકારણ ગરમાયું છે. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોલીસની કામગીરી ઢીલી હોવાનું સ્વીકારીને નિવેદન આપ્યું છે. આ ઘટનાને પગલે મંત્રી કુંવરજી બાવળિયા મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ ચૂક્યા છે. ઘટનાને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા બોલ્યા, 'નવનીત ભાઈ બાલધિયા પર અમાનવીય રીતે માર મારીને જે ઘટના બની છે, તે ખૂબ દુખદ બાબત છે. તેમણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના કહેવાય મુજબ ફરિયાદ પણ મોડી લેવામાં આવી હતી. ફરિયાદ લેવાયા પછી પણ તોમતદારની સમયસર ધરપકડ કરવી જોઈએ અને પગલાં લેવાવા જોઈએ તેમાં પણ પોલીસ તરફથી ખૂબ વિલંબ થયું. તેની સાથે ફરિયાદ દાખલ થયા પછી જે નામ અપાયા તે પૈકીના તોમતદારોની ધરપકડ પણ કરવામાં આવી છે, અને રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે. પગલાં લેવાણા છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું (નવનીતભાઈનું) લેવાણું છે.'
વધુમાં કેબિનેટ મંત્રી બોલ્યા, જે રીતે તેમની તપાસ થવી જોઈએ, અને કોલ ડિટેલ્સ તપાસવી જોઈએ CCTV કેમેરા તપાસીને તેમાં ખરેખર જે તોમતદારો સંડોવાયેલા છે તેના પર સખત કાર્યવાહી થવી જોઈએ. તેવી તેમની પણ લાગણી છે, હજુ પણ જે દિશામાં તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવા જોઈએ તે તેમના અનુસાર સંતોષકારક નથી.
વધુમાં તેમણે ઉમેર્યું, "હજુ તોમતદારના જે રીતે મોબાઈલ, કોલ ડિટેલ્સ આ બધુ તપસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ તે પોલીસ તફથી સંતોષકારક થતી નથી." રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા બોલ્યા, "અમે સોમવારે અમારા સમાજના સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો સાથે મળીને મુખ્યમંત્રી સાહેબને આ બનાવના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ. અને જે તોમતદારો આમાં સંડોવાયેલા હોય તેના પર કયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી કરવા માટેની અમે માંગણી પણ અમારા સમાજના આગેવાનો કરી રહ્યા છીએ"





















