ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી 31 માર્ચ 2026 ના રોજ એક દિવસ માટે ગુજરાત મુલાકાત પર છે. આ દરમિયાન PM ના હસ્તે વિવિધ વિકાસ કર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
અમદાવાદમાં આગમન અને સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ
પ્રધાનમંત્રી Narendra Modi 31 માર્ચે સવારે 9:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ સીધા કોબા તરફ જશે. કોબામાં PM સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સમ્રાટ સંપ્રતિ, મૌર્ય વંશના એક મહત્વપૂર્ણ શાસક તરીકે જાણીતા છે અને જૈન ધર્મના પ્રચારમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. આ મ્યુઝિયમથી રાજ્યના સંસ્કૃતિ પર્યટનને પણ વેગ મળશે તેવી અપેક્ષા છે.
સાણંદમાં Kaynes Semicon પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
અમદાવાદના કાર્યક્રમ બાદ બપોરે લગભગ 12:30 વાગ્યે PM મોદી સાણંદ પહોંચશે. અહીં તેઓ Kaynes Semicon પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. Kaynes Technology દ્વારા વિકસિત આ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ ગુજરાત માટે ટેક્નોલોજી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
સાણંદ પહેલેથી જ ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓળખાય છે, અને હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આ રોકાણથી રાજ્યને હાઈ-ટેક ઇન્ડસ્ટ્રીમાં પણ મજબૂતી મળશે. ભારત સરકાર દ્વારા સેમિકન્ડક્ટર મિશનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આવા પ્રોજેક્ટ્સ દેશને ટેક્નોલોજી આત્મનિર્ભરતા તરફ લઈ જશે.
આ પણ વાંચો: સામાન્ય માણસનું બજેટ ખોરવાશે : 1 એપ્રિલથી પેરાસિટામોલ સહિત 1000થી વધુ આવશ્યક દવાઓ થશે મોંઘી, જાણો કેટલો ઝીંકાશે ભાવ વધારો
ડીસા અને નાણી ગામમાં વિકાસ કાર્યક્રમો
બપોર બાદ સાંજે લગભગ 4 વાગ્યે PM મોદી ડીસા પહોંચશે. ત્યાંથી તેઓ રોડ માર્ગે નાણી ગામ ખાતે કાર્યક્રમ સ્થળે જશે. નાણી ગામમાં તેઓ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી સપ્લાય અને અન્ય સ્થાનિક વિકાસ યોજનાઓને ગતિ આપવાના પ્રયાસોનો સમાવેશ થવાની શક્યતા છે.
જાહેર સભા અને રાજકીય સંદેશ
નાણી ખાતે PM મોદી એક વિશાળ જાહેર સભાને પણ સંબોધિત કરશે. આ સભા રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આગામી સમયમાં વિવિધ ચૂંટણીઓની તૈયારી ચાલી રહી છે. PM મોદીના ભાષણમાં વિકાસ, કેન્દ્ર સરકારની યોજનાઓ અને ગુજરાત માટેના ભવિષ્યના વિઝન પર ખાસ ભાર મુકાય તેવી શક્યતા છે.
આ સમગ્ર કાર્યક્રમ બાદ સાંજે લગભગ 5:30 વાગ્યે પીએમ મોદી ડીસાથી આસામ માટે રવાના થશે.





