PM Modi Assam Vist: પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેને લઈને પ્રધાનમંત્રી મોદી આજે આસામના પ્રવાસે છે. ચૂંટણી ટાણે આસામના ચા ના બગીચામાં મહિલાઓ સાથે ચા ના પાન તોડતા જોવા મળ્યાં પ્રધાનમંત્રી મોદી. મોદીએ અહીં ખેડૂતો અને સ્થાનિક કામદારોની મુલાકાત લઈને તેમના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુંકે, પહેલાં આસામ દુનિયાભરમાં ચા ના કારણે જાણીતું હતું, હવે આસામ ચા અને ચિપ બન્ને માટે જાણીતું બનશે. ટીવી, રેફ્રિજરેટર, વાહનો અને મોબાઇલ ફોન આસામના ચિપ્સ પર ચાલશે.
સાથે જ તેમણે આસામથી ધરતી પરથી રાજકીય વિરોધીઓને પડકાર પણ ફેંક્યો. આસામ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુંકે, "આ આસામની ચૂંટણી વિકસિત આસામને વિકસિત ભારતમાં પરિવર્તિત કરવાની છે. આ વખતે, ભાજપ-એનડીએ ચોક્કસપણે હેટ્રિક કરશે. આ વખતે એ વાત પણ નક્કી છેકે, કોંગ્રેસ હારની હેટ્રિકનો સામનો કરવાનો વારો આવશે. આસામ સતત ત્રીજી વખત ભાજપ-એનડીએ સરકાર બનાવી રહ્યું છે. કોંગ્રેસના કહેવાતા રાજકુમાર હારની સેન્ય્ચુરી પૂર્ણ કરવાના છે."
ઉલ્લેખનીય છેકે, હાલ અસમમાં ચૂંટણી માહોલ ગરમ છે અને એ જ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના ડિબ્રૂગઢ જિલ્લાના ચા બગીચાની મુલાકાત લઈને રાજકીય અભિયાનને એક અલગ જ દિશા આપી. તેઓએ ચા બગીચામાં જઈને કામદારો સાથે વાતચીત કરી, મહિલાઓ સાથે ચા પાન તોડ્યા અને તેમની સાથે સેલ્ફી પણ લીધી. આ સમગ્ર ઘટનાને ચૂંટણી પૂર્વે મતદારો સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયાસ માનવામાં આવે છે.
મોદીએ ચા બગીચામાં લગભગ અડધો કલાક વિતાવ્યો અને કામદારોના જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ- જેમ કે શિક્ષણ, આરોગ્ય અને વેતન- વિશે ચર્ચા કરી. આ દરમિયાન મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં હાજર રહી અને તેમણે પ્રધાનમંત્રીને તેમના સંસ્કૃતિ વિશે પણ માહિતગાર કર્યા. ચા પાન તોડવાનો આ દૃશ્ય માત્ર પ્રતીકાત્મક નહોતો, પરંતુ અસમના સૌથી મોટા શ્રમિક વર્ગ સાથે સીધી જોડાણ સ્થાપિત કરવાનો સંદેશ આપતો હતો. મોદીએ સોશિયલ મીડિયા પર પણ આ અનુભવને “સ્મરણિય” ગણાવ્યો અને ચા બગીચા પરિવારોના પરિશ્રમને સલામ કરી.
અસમની ચા ઉદ્યોગ અને મહિલાઓની ભૂમિકાઃ
અસમનો ચા ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમાં ભારતના કુલ ચા ઉત્પાદનનો લગભગ 55% હિસ્સો આવે છે અને આ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે. ખાસ વાત એ છે કે ચા બગીચા કામદારોમાં મહિલાઓનું પ્રમાણ વધારે છે, જે આ ઉદ્યોગને આધાર આપે છે. તેમ છતાં, આ સમુદાય હજુ પણ સામાજિક અને આર્થિક રીતે પાછળ ગણાય છે. શિક્ષણની અછત, ઓછી આવક અને આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ આજે પણ મોટો પડકાર છે. એવા સમયે પ્રધાનમંત્રીનો આ સીધો સંપર્ક આ વર્ગને રાજકીય રીતે મહત્વ આપવાનો સંકેત તરીકે જોવામાં આવે છે.
ચૂંટણી પહેલાં રાજકીય સંદેશ અને રણનીતિઃ
આ મુલાકાત માત્ર સામાજિક સંવાદ નહોતી, પરંતુ સ્પષ્ટ રાજકીય રણનીતિનો ભાગ હતી. પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાત બાદ ગોગામુખ અને બેહાલી ખાતે ચૂંટણી રેલીઓને પણ સંબોધિત કરી. તેમણે રેલી દરમિયાન વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને ગરીબ-મધ્યવર્ગના કલ્યાણને સરકારની પ્રાથમિકતા ગણાવી. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે વિરોધ પક્ષ પર પણ નિશાન સાધ્યું અને ભાજપ માટે મજબૂત જીતનો દાવો કર્યો. આ તમામ પ્રવૃત્તિઓ દર્શાવે છે કે ભાજપ અસમમાં ચા બગીચા સમુદાય અને મહિલા મતદારોને કેન્દ્રમાં રાખીને અભિયાન ચલાવી રહી છે.
“ચા થી ચિપ્સ” સુધીનો વિકાસ મોડેલઃ
પ્રધાનમંત્રી મોદીએ અગાઉ પણ અસમ માટે “ચા થી ચિપ્સ” જેવા વિઝનનો ઉલ્લેખ કર્યો છે, જેમાં પરંપરાગત ઉદ્યોગ સાથે આધુનિક ટેક્નોલોજી અને વિકાસ જોડવાનો પ્રયાસ છે. તેમણે તાજેતરમાં રાજ્યના વિકાસ માટે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રોજગાર સર્જન પર ભાર મૂક્યો છે, જે ચૂંટણીમાં મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે.
આસામમાં ચા બગીચા સમુદાય લગભગ 10 લાખથી વધુ લોકોનો છે અને ચૂંટણીમાં આ વર્ગ નિર્ણાયક સાબિત થઈ શકે છે. PM મોદીની આ મુલાકાત દર્શાવે છે કે ભાજપ આ વર્ગને સીધું સંબોધી રહી છે અને મહિલાઓને કેન્દ્રમાં રાખીને રાજકીય સંદેશ આપી રહી છે. આ પ્રકારના ગ્રાઉન્ડ લેવલ સંપર્કો મતદારોમાં વિશ્વાસ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે ચૂંટણી નજીક હોય.





