Petrol Diesel Price Today( 22 may 2026): દેશમાં ઇંધણના ભાવમાં થઈ રહેલા વધારાને લઈને સામાન્ય જનતા પર બોજ સતત વધી રહ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (IOCL, BPCL, HPCL) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં બે વાર વધારો ઝીંકાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 105 ડોલર પ્રતિ બેરલની નીચે આવ્યા હોવા છતાં, મિડલ ઈસ્ટ સંકટ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં રહેલી અનિશ્ચિતતાઓને કારણે ભારતમાં ઇંધણના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો, 15મી મેના રોજ ઇંધણના ભાવમાં 3 રૂપિયાનો પ્રતિ લીટર વધારો થયા બાદ, મંગળવારે ફરીથી પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને કારણે વાહનચાલકોના ખિસ્સા પર સીધી અસર પડી રહી છે. સરકારી ઓઈલ કંપનીઓના પંપો પર હાલમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ ખાનગી અને સરકારી ફ્યૂલના ભાવો વચ્ચે રહેલું અંતર માનવામાં આવે છે.
દેશમાં સૌથી સસ્તું અને મોંઘું ઇંધણ ક્યાં?
દેશના અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ અને અન્ય સ્થાનિક પરિબળોને લીધે ઇંધણના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે.
સૌથી સસ્તું: પોર્ટબ્લેયરમાં પેટ્રોલ 85.73 રૂપિયા અને ડીઝલ 81.43 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળે છે.
સૌથી મોંઘું: આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં પેટ્રોલ 114.53 રૂપિયા અને ડીઝલ 102.26 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોમાં પણ ભાવ સતત ઉચ્ચ સ્તરે જળવાયેલા છે, જેની અસર પરિવહન ખર્ચ અને મોંઘવારી પર પડી રહી છે.
આ પણ વાંચો: આનંદો, હવે મળશે જોખમ વગર સ્થિર આવક!: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળે છે FD કરતા પણ વધારે વ્યાજ
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના ભાવ (પ્રતિ લીટર)
ગુજરાતમાં પણ વિવિધ શહેરો પ્રમાણે ભાવમાં સામાન્ય તફાવત જોવા મળે છે. નીચે મુજબ છે આજની અંદાજિત કિંમતો:
શહેર | પેટ્રોલ (રૂપિયા) | ડીઝલ (રૂપિયા) |
અમદાવાદ | 98.53 | 94.37 |
વડોદરા | 98.01 | 93.85 |
સુરત | 98.43 | 94.29 |
રાજકોટ | 98.57 | 94.43 |
(સોર્સ: ગૂડ રિટર્ન્સ વેબસાઈટ - નોંધ: શહેરો પ્રમાણે ભાવમાં નજીવો ફેરફાર હોઈ શકે છે.)
શું દેશમાં ઈંધણનું સંકટ સર્જાશે?
વૈશ્વિક પરિસ્થિતિઓ જોતા ઇંધણની અછત અંગે અનેક અટકળો ચાલી રહી છે, પરંતુ ઓઈલ કંપનીઓના સૂત્રોનું કહેવું છે કે રશિયાથી આવતા ક્રૂડ ઓઈલના જથ્થા પર કોઈ અસર પડી નથી. ભારત હાલમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો નેટ એક્સપોર્ટર અને સરપ્લસ દેશ છે, તેથી દેશમાં ઇંધણના મોટા સંકટની કોઈ શક્યતા નથી. સરકારી કંપનીઓ સતત સપ્લાય જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે.






