Lalji Patel Vs Anar Patel : બનાસકાંઠાના ગઢ ગામમાં તાજેતરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણીઓની હાજરીમાં સમાજની દીકરીઓ અને આંતરજ્ઞાતિય લગ્ન (Inter-caste Marriage) જેવા સંવેદનશીલ મુદ્દે ઉગ્ર ચર્ચાઓ જોવા મળી. ખાસ કરીને આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ અને SPG પ્રમુખ લાલજી પટેલના નિવેદનોએ સામાજિક ગરમાવો લાવી દીધો છે.
સંગઠન અને મગજના 'રજવાડા' પર અનાર પટેલનો પ્રહાર
કાર્યક્રમમાં સંબોધન કરતા અનાર પટેલે સંગઠનની શક્તિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, સરદાર પટેલ પાસેથી શીખવા જેવી સૌથી પહેલી બાબત 'સંગઠન' છે. કાઠિયાવાડમાં ખોડલધામ જેવા સંગઠનોનું ઉદાહરણ આપી તેમણે ઉત્તર ગુજરાતમાં સંગઠનની જરૂરિયાત વર્ણવી હતી. વર્તમાન સોશિયલ મીડિયાના યુગ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું જો આજે સરદાર પટેલ હોત, તો તેમને પણ 562 રજવાડાં ભેગા કરવામાં મુશ્કેલી પડત. કારણ કે આજે રજવાડાં નથી, પણ લોકોના મગજમાં 'રજવાડાં' છે અને ઘરે-ઘરે નેતા પેદા થયા છે."
દીકરીઓ કેમ બહાર જાય છે? અનાર પટેલનો સમાજના દીકરાઓને સવાલ
અનાર પટેલે સમાજમાં દીકરીઓના આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓનો મોરચો દીકરાઓ તરફ વાળ્યો હતો. તેમણે બહેનોને આહ્વાન કર્યું કે જો ભાઈ દારૂ પીને આવે તો તેને ઘરની બહાર કાઢવો જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શા માટે હંમેશા દીકરીઓને જ સલાહ આપવામાં આવે છે? શું દીકરાઓ સમાજ નથી બગાડતા? દીકરી ત્યારે જ બીજા સમાજમાં જાય છે જ્યારે પોતાના સમાજના છોકરાઓમાં સક્ષમતા હોતી નથી. જો છોકરો દારૂડિયો હોય, રખડતો હોય કે કામકાજ વગરનો હોય, તો દીકરી સુરક્ષિત ભવિષ્ય માટે અન્ય વિકલ્પ પસંદ કરે તે સ્વાભાવિક છે.
લાલજી પટેલની ચીમકી: "સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ"
અનાર પટેલના નિવેદનથી વિરુદ્ધ, SPG પ્રમુખ લાલજી પટેલે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી કે દીકરીઓએ સમાજની મર્યાદામાં જ લગ્ન કરવા જોઈએ. લાલજી પટેલે જણાવ્યું હતું કે લાડકોડથી મોટી કરેલી દીકરી કોઈ અસામાજિક તત્વ કે ગુંડા સાથે ભાગીને લગ્ન કરે તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. કદાચ પાટીદાર સમાજ આ જતું કરશે, પણ SPG (સરદાર પટેલ ગ્રુપ) આ વાત ક્યારેય સ્વીકારશે નહીં." એક જ મંચ પરથી આવેલા આ બે નિવેદનોએ પાટીદાર સમાજમાં નવી ચર્ચા છેડી છે. જ્યાં એક તરફ અનાર પટેલ દીકરીઓને દોષ દેવાને બદલે સમાજના યુવકોની સક્ષમતા અને આચરણ પર સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ લાલજી પટેલ સામાજિક શિસ્ત અને પરંપરા જાળવી રાખવા માટે કડક વલણની હિમાયત કરી રહ્યા છે. આ વિરોધાભાસી મંતવ્યો આગામી સમયમાં સમાજિક પરિવર્તનની દિશામાં કેવા વળાંકો લાવશે તે જોવું રહ્યું.
પાટીદાર સમાજમાં બદલાતી માનસિકતા
ગુજરાતમાં છેલ્લા દાયકામાં સામાજિક અને આર્થિક સ્તરે મોટા પરિવર્તનો આવ્યા છે. ઉચ્ચ શિક્ષણ, વિદેશગમન અને કોર્પોરેટ ક્ષેત્રમાં વધતી ભાગીદારીને કારણે પાટીદાર સમાજની નવી પેઢી વધુ ખુલ્લા વિચારો તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં યુવાનો વચ્ચે જાતિ આધારિત મર્યાદાઓ અગાઉની તુલનામાં નરમ પડી રહી હોવાનું સમાજશાસ્ત્રીઓ માને છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત માન્યતાઓ હજુ મજબૂત છે. પાટીદાર સમાજ ગુજરાતમાં રાજકીય અને આર્થિક રીતે પ્રભાવશાળી સમુદાય તરીકે ઓળખાય છે. અનામત આંદોલન બાદ સમાજની અંદર યુવાનોની ભૂમિકા અને નવી વિચારસરણી વધુ સ્પષ્ટ બની હતી.





