Online payment method changed : ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરનારા કરોડો લોકો માટે 1 એપ્રિલ, 2026 થી મોટા સમાચાર આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ઓનલાઈન નાણાકીય વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે 'ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન' (2FA) ને અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. આ ફેરફારનો મુખ્ય હેતુ વધતાં જતાં સાયબર ફ્રોડ અને હેકિંગના બનાવોને ઓછા કરવાનો છે, જેથી સામાન્ય માણસની કમાણી સુરક્ષિત રહે.
માત્ર OTP પૂરતો નથી
અત્યાર સુધી આપણે ઓનલાઈન પેમેન્ટ વખતે માત્ર એક OTP અથવા પિન દ્વારા ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી લેતા હતા. પરંતુ નવા નિયમ મુજબ, હવે દરેક પેમેન્ટને ઓછામાં ઓછી બે અલગ અલગ રીતે વેરિફાય કરવું પડશે. આમાં પિન, પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડી જેવી પદ્ધતિઓનો સમાવેશ થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ બેમાંથી એક પદ્ધતિ 'ડાયનેમિક' હશે, જે દર વખતે બદલાતી રહેશે.
કેવી રીતે થશે પેમેન્ટ
જ્યારે તમે કોઈ મોલ કે ઓનલાઈન પ્લેટફોર્મ પર કાર્ડ અથવા UPI દ્વારા પેમેન્ટ કરશો, ત્યારે તમારે બે પ્રોસેસમાંથી પસાર થવું પડશે. ઉદાહરણ તરીકે, તમે પિન નાખ્યા પછી બાયોમેટ્રિક ચેક (ફિંગરપ્રિન્ટ) આપવો પડશે અથવા OTP ની સાથે કોઈ અન્ય પાસવર્ડનો ઉપયોગ કરવો પડશે. આ ડબલ સુરક્ષાને કારણે જો કોઈ પાસે તમારો પિન હોય તો પણ તે તમારી મંજૂરી વિના પૈસા ઉપાડી શકશે નહીં.
જોખમ મુજબ સુરક્ષા તપાસ
RBI એ આ નવા નિયમોમાં 'રિસ્ક-બેઝ્ડ ઓથેન્ટિકેશન' સિસ્ટમ અપનાવી છે. આનો અર્થ એ છે કે, તમારા ટ્રાન્ઝેક્શનની રકમ અને તેની રીત પર નજર રાખવામાં આવશે. જો તમે નાની રકમનું પેમેન્ટ કરો છો, તો સુરક્ષા તપાસ ઓછી હોઈ શકે છે. પરંતુ જો રકમ મોટી હોય અથવા વ્યવહારમાં કોઈ શંકા જણાય, તો બેંક તમારી પાસેથી વધારાની વેરિફિકેશન પ્રક્રિયા કરાવશે.
બેંકોની જવાબદારી વધી
નવી ગાઈડલાઈન્સ અનુસાર, જો કોઈ પેમેન્ટમાં સુરક્ષાના આ નવા નિયમોનું પાલન નથી થતું અને ગ્રાહક સાથે ફ્રોડ થાય છે, તો તેની સંપૂર્ણ જવાબદારી બેંક અથવા પેમેન્ટ કંપનીની રહેશે. આનાથી ગ્રાહકોને આર્થિક નુકસાનથી રક્ષણ મળશે અને બેંકો પોતાની સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત થશે.
અમલીકરણનો સમયગાળો
ભારતમાં થતા તમામ સ્થાનિક વ્યવહારો માટે 1 એપ્રિલ, 2026 ની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે, વિદેશી વેબસાઇટ્સ પર કરવામાં આવતા પેમેન્ટ માટે આ નિયમ 1 ઓક્ટોબર, 2026 થી અમલમાં આવશે. આ સમયગાળા સુધીમાં તમામ બેંકો અને ફિનટેક કંપનીઓએ તેમની સિસ્ટમમાં જરૂરી ફેરફાર કરવાના રહેશે.





